દક્ષિણ ભારતમાં હવે પોતાના પક્ષને મજબૂત કરવા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં ભાજપને પણ AIADMKનો સાથ સહકાર મળી શકે છે. લોકસભા ચૂંટણી માટે ભાજપ અને AIADMK ગઠબંધનનું એલાન કરી શકે છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તમિલનાડુ ભાજપના પ્રભારી પિયુષ ગોયલ આજે ચેન્નાઈની મુલાકાતે જશે. જ્યાં તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી અને ઉપમુખ્યમંત્રી પન્નીરસેલ્વમ સાથે મુલાકાત કરશે.
આ મુલાકાત બાદ બંને પાર્ટીઓના નેતાઓ પત્રકાર પરીષદ કરીને ઔપચારિક એલાન કરી શકે છે. ભાજપ AIADMKના ગઠબંધનમાં PMK DMDK PT KNMK IJ અને PNK સહિત કુલ આઠ પાર્ટીઓ જોડાઈ શકે છે.
જો કે તમિલનાડુમાં 39 લોકસભાની સીટો છે અને તેમાંથી 8 સીટો પરથી ભાજપ ચૂંટણી લડી શકે છે. ઉલ્લેખનીય છે કે 2014 લોકસભા ચૂંટણીમાં AIADMK એકલાહાથે ચૂંટણી લડી હતી અને 37 સીટો પર સફળતા મળી હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા પીયૂષ ગોયલ 14 ફેબ્રુઆરીના રોજ તામિલનાડુની મુલાકાતે ગયા હતા. પીયૂષ ગોયલે તે સમયે કહ્યું હતું કે સારી શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે અને વિચાર થઇ રહ્યો છે.
ત્યારબાદ 15મીએ જ્યારે એઆઇડીએમકેના સમન્વયક ઓ પન્નીરસેલ્વને ભાજપ સાથે ગઠબંધન અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે એક-બે દિવસમાં સારો સદ્દભાવપૂર્ણ નિર્ણય લેવામાં આવશે.