છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાની અટકળો પર પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે.
જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા બે તબક્કે નહીં યોજાય
અફવાહોથી દૂર રહેવા બંને ભરતી સત્તા મંડળોની અપીલ
પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ એક જ તબક્કે યોજાશે પરીક્ષા
રાજ્યમાં વારંવાર બનતી પેપર ફૂટવાની ઘટનાને રોકવા માટે સરકાર એક્શનમાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પંચાયત સેવા મંડળની જવાબદારી સોંપવામાં આવી હતી. હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે 'પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા 09મી એપ્રિલે અને તલાટીની પરીક્ષા 23મી એપ્રિલના રોજ લેવા માંગે છે. પરીક્ષા કેન્દ્રોને લઈને જિલ્લાઓ પાસેથી વિગતો માંગવામાં આવી છે.' ત્યારે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
બે નહીં એક જ તબક્કે યોજાશે પરીક્ષા
પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા બે તબક્કે નહીં પરંતુ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ એક જ તબક્કે યોજવાની છે. બંને ભરતી સત્તા મંડળોએ ઉમેદવારોને અફવાહોથી દૂર રહેવા જણાવ્યું છે.
પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
અફવા પર ધ્યાન આપવું નહીંઃ હસમુખ પટેલ
પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી કહેવામાં આવ્યું છે કે, ઉમેદવારો આ પ્રકારની અટકળોથી દૂર રહીને પરીક્ષાની તૈયારી કરે. ઉમેદવારોની સંખ્યા વધે કે ઘટે તેવા કોઈપણ સંજોગોમાં પરીક્ષા તો એક જ તબક્કામાં યોજાવાની છે. તો હસમુખ પટેલે ઉમેદવારોને અપીલ કરી છે કે, 'કોઈ બાબતે અસમંજસ-દ્વિધામાં રહેવું નહીં, પરીક્ષાની તૈયારીમાં જ ધ્યાન આપવું, કોઈ અફવા પર ધ્યાન આપીને ગેરમાર્ગે દોરાવવું નહીં.'
ક્લાર્ક માટે 10 લાખ અને તલાટી માટે 17 લાખ ઉમેદવાર
અત્રે ઉલ્લેખનીય છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આશરે 10 લાખ અને તલાટીની પરીક્ષામાં આશરે 17 લાખ ઉમેદવાર બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. અત્યારે પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
1181 ખાલી માટે ભરતી પરીક્ષા
1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ મામલે હવે સંભવીત પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામા આવી છે. એટલું જ નહિ નવી પરીક્ષામા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે તેવું પણ બોર્ડે જણાવ્યું હતું.
રદ્દ થઈ હતી પરીક્ષા?
પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. મંડળ દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરાઈ હતી. રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો.