ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચાર; ગુજરાતમાં કોરોનાના નવા 304 કેસ નોંધાયા છે તેમજ એક્ટિવ કેસની સંખ્યા વધીને 2149 થઇ છે
રાજ્યમાં હવામાન વિભાગે ફરી માવઠાને લઈ આગાહી કરી છે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. કમોસમી વરસાદને લઈ રાજ્યના ઘણાં વિસ્તારમાં અગાઉ જ પાક નુકસાની થઈ છે તો બીજી તરફ ફરી કમોસમી વરસાદના કમઠાણ સર્જાતા ખેડૂત ચિંતામાં મુકાયો છે. કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા જણાઈ રહી છે. તો બીજી તરફ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર, નર્મદા, દાહોદના અમુક વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરાઈ સાથો સાથ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.
ઉનાળામાં ગરમીના નવા નવા રેકોર્ડ સર્જાશે, તેમાં પણ શહેરમાં ૪૧.૯ ડિગ્રી ગરમી પડતાં લોકો તોબા પોકારી ઊઠ્યા હતા. બપોરે તો અમદાવાદ રીતસરનું અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હતું, જોકે કાળઝાળ ગરમી સામે લોકોને રક્ષણ આપવા મ્યુનિ. કોર્પોરેશન આગળ આવ્યું છે. તંત્રના હીટ એક્શન પ્લાન હેઠળ મ્યુનિ. સંચાલિત એલજી હોસ્પિટલમાં 20 બેડનો વોર્ડ ફક્ત હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે તૈયાર કરાયો છે. શહેરમાં હજુ હીટ સ્ટ્રોકનો કોઈ દર્દી નોંધાયો નથી. ગત એપ્રિલ-2022માં પણ હીટ સ્ટ્રોકના દર્દીને સારવાર આપવાની નોબત આવી નહોતી, જોકે 41થી 43 ડિગ્રી વચ્ચે ગરમી રહેતી હોઈ યલો એલર્ટ જાહેર કરાય છે, જે પણ જોખમી છે તેમ ડો. શાહ જણાવે છે.
ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસનું તેડું આવ્યું છે. ભાવનગર પોલીસે યુવરાજસિંહને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. યુવરાજસિંહને ભાવનગર પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે તેમજ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
જાન્યુઆરી 2024 માં વાયબ્રન્ટ સમિટ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે વાયબ્રન્ટ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ હવે આગામી જાન્યુઆરી મહિનામાં યોજાવાની છે. 5 વર્ષ બાદ વાયબ્રન્ટ ગુજરાત 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જાન્યુઆરી 2024 માં 11 થી 13 જાન્યુઆરી દરમ્યાન વાયબ્રન્ટ સમિટ યોજાઈ શકે છે. ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા તેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. છેલ્લે 2019 માં વાયબ્રન્ટ સમિટ યોજાઈ હતી. તેમજ 2022 માં કોરોનાં વાયરસને કારણે આયોજન મોકુફ રાખવામાં આવ્યું હતું.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 18, 2023
અમેરિકા બાદ કેનેડામાં એક ગુજરાતી યુવક સાથે કોઈ આકસ્મિક બનાવ બન્યો હોવાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે મૂળ મહેસાણાનો રહેવાસી અને કેનેડા અભ્યાસ અર્થે ગયેલ હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી ગુમ હતો. ત્યારે આજે યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ર્ડા. અતુલ ચગ આપઘાત કેસમાં હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટમાં 2 કલાકથી વધુ સમય દલીલ ચાલી હતી. ત્યારે પીઆઈ સિવાયનાં અન્ય પક્ષકારોએ જવાબ રજૂ ન કરવા તેમજ ખાનગી વકીલ ન રોકવા પર અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. તેમજ પોલીસ અધિકારીની એફિડેલિટ સામે અરજદાર દ્વારા રિજોઈન્ડર કર્યું હતુ. જેમાં અરજદારે જણાવ્યું હતું કે 12 ફેબ્રુઆરીએ ઘટના બની અને એ જ દિવસે સ્યુસાઈટ નોટ પણ મળી હતી. ત્યારે હજુ તપાસ ચાલુ હોવાની વાત પોલીસ કરી રહી છે. એફએસએલ રિપોર્ટમાં સ્યુસાઈટ નોટમાં અક્ષર ર્ડા. ચગનાં હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. પોલીસે ફરી સ્યુસાઈટ નોટ એફએસએલમાં તપાસ માટે મોકલી હોવાનું કહ્યું હતું. શા માટે તેનો ઉલ્લેખ એફિડેવિટમાં નથી.
મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટને લઈ મહત્વની જાહેરાત કરાઈ છે. સરકારે મધ્યાહન ભોજન કુકિંગ કોસ્ટમાં વધારો કર્યો છે જેમાં ધોરણ 1થી 5માં વિદ્યાર્થી દીઠ રૂપિયા 5 અને 45 પૈસાનો વધારો કરાયો છે. ધોરણ 6થી 8માં વિદ્યાર્થી દીઠ રૂપિયા 8 અને 17 પૈસાનો વધારો કરાયો છે. ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળે ઉગ્ર વિરોધ કર્યો છે. મધ્યાહન ભોજન મંડળના સભ્યોએ જણાવ્યું કે,હાલની મોંઘવારી પ્રમાણે ભાવ વધારો ઓછો છે જે વધારે કરવો જોઈએ. મોંઘવારી જોતા પોસાયા તેમ નથી.
સરકારે મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટમાં કર્યો વધારો, ધોરણ 1 થી 5 માં વિદ્યાર્થી દીઠ રૂ.5.45 કરાયો, ધોરણ 6 થી 8 માં વિદ્યાર્થી દીઠ રૂ.8.17 કરાયો, ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળે કર્યો વિરોધ કહ્યું "હાલની મોંઘવારીથી નવા કોસ્ટ વધારો ઓછો છે"#middaymealpic.twitter.com/6WAgZGSwYq
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 18, 2023
ગુજરાતભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં નિર્વિઘ્ને સમાપ્ત થયા બાદ હવે વહીવટી તંત્રએ તલાટીની પરીક્ષાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 07 મે, 2023ના રોજ તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તલાટીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જેઓ તલાટીની પરીક્ષા આપવા માંગે છે, તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કેન્ફર્મેશન ન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.તેમણે કહ્યું કે, કન્ફેર્મેશનની પ્રક્રિયા 20 એપ્રિલે પૂર્ણ થશે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ ઉમેદવારોએ કન્ફર્મેશન આપ્યું છે. જેથી બાકીના ઉમેદવારો છેલ્લી ઘડીની રાહ જોયા વિના કન્ફર્મેશન આપે તે જરૂરી છે. ઉમેદવારોની સંખ્યા અને ઉપલબ્ધ કેન્દ્રોના આધારે કેન્દ્રની ફાળવણી કરવામાં આવશે. ઉમેદવારોને 50-60 કિમીના વિસ્તારમાં જ કેન્દ્ર ફાળવવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાના નવા કેસ 304 કેસ નોંધાયા છે તેમજ એક્ટિવ કેસની સંખ્યા વધીને 2149 થઇ છે રાજ્યમાં સૌથી વધુ 91 કેસ અમદાવાદમાં નોંધાયા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી મંદીને લઈને ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને વિશ્વની મોટી મોટી બેંકોમાં તેના ભણકારા વાગી રહ્યા છે. આ સાથે જ અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ કટોકટી ઊભી થઈ છે અને ક્રેડિટ સુઈસ મુશ્કેલીમાં હોવાને કારણે વૈશ્વિક મંદીની આશંકા વધી છે. જો કે આ બધા વચ્ચે એક સારી વાત એ છે કે આ મંદીનો કોઈ અસર ભારતમાં જોવા નહીં મળે. જણાવી દઈએ કે નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં તકો અપાર છે પણ શૂન્ય જોખમ છે અને આ વાતને સાચી સાબિત કરે છે Bloomberg Recession Meter. આ મંદીનું મીટર જણાવે છે કે તક ફક્ત ભારતમાં જ છે. આવો જ એક એન્ટરપ્રેન્યોર નિખિલ કામતની એક સોશિયલ પોસ્ટ પણ આ વાતનો ખુલાસો કરી રહી છે. જણાવી દઈએ કે નિખિલ ભારતીય ફાયનાન્સિયલ સર્વિસ કંપની ઝેરોધાનો માલિક છે અને તેના કહેવા મુજબ અમેરિકા અને યુરોપની નામચીન સંસ્થાઓમાંથી ડિગ્રી મેળવનાર યુવાનોએ ભારત તરફ વળવું જોઈએ કારણ કે અહીં ઘણી તક છે અને જોખમ શૂન્ય છે. જેઓ કોઈ સ્ટાર્ટ અપ શરૂ કરવા માંગે છે તેમના માટે સંકેત સકારાત્મક છે અને ઓછામાં ઓછા આવનાર એક દાયકા સુધી ભારત જોખમ વિના કામ કરવાની જગ્યા છે.
NCP નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારે ભાજપમાં જોડાવાની અટકળો પર મૌન તોડ્યું છે. અજિત પવારે કહ્યું કે તેઓ NCPમાં છે અને NCPમાં જ રહેશે. એનસીપી જે પણ નિર્ણય લેશે, હું ત્યાં રહીશ. અજિત પવારે પીએમ મોદીના કરિશ્માના વખાણ કર્યા હતા. આટલું જ નહીં તેમણે ઈવીએમ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આ પછી મહારાષ્ટ્ર સરકારના મંત્રી સુધીર મુનગંટીવારે NCPને NDAમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારથી મહારાષ્ટ્રમાં તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.
No truth in the rumours spread about me: Ajit Pawar, LoP Maharashtra Assembly & NCP leader dismisses rumours about his leaving NCP pic.twitter.com/SqwW5joV9V
સુપ્રીમ કોર્ટે મંગળવારે બિલ્કિસ કેસમાં દોષિતોને તેમની જેલ દરમિયાન પેરોલ આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે ગુનાની ગંભીરતાને રાજ્ય મારફતે ધ્યાનમાં લેવી જોઈએ. જસ્ટીસ કે.એમ. જોસેફ અને બી વી નાગરથનાની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે. ખંડપીઠે મંગળવારે કહ્યું હતું કે જ્યારે મોટા પાયે સમાજને અસર કરતા આવા જઘન્ય ગુનાઓમાં મુક્તિ પર વિચાર કરવામાં આવે છે, ત્યારે જાહેર હિતને ધ્યાનમાં રાખીને સત્તાનો ઉપયોગ કરવો જોઈએ. જસ્ટિસ જોસેફે કહ્યું, "સવાલ એ છે કે શું સરકારે તેના પર પોતાનું મન મૂકી દીધું છે. આખરે, કઈ સામગ્રીને આ નિર્ણયનો આધાર બનાવવામાં આવી હતી? (ન્યાયિક) આદેશમાં દોષિતોને તેમના કુદરતી જીવન માટે જેલમાં રહેવું જરૂરી છે. આજે તે એક સ્ત્રી (બિલ્કિસ) છે, આવતીકાલે તે તમે અથવા હું હોઈ શકે છે. જો તમે દોષીઓને છોડી મૂકવાના કારણ નહીં આપે તો પછી અમે અમારી મેળે ફેંસલો આપીશું.
ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોળી મારવાની ધમકી આપવામાં આવી છે. બાગપત જિલ્લાનાં રહેનારા એક યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતાં CM યોગીને ગોળી મારવાની ધમકી આપી છે. કેટલાક લોકોએ આ પોસ્ટમાં CM, DGP અને યૂપી પોલીસનાં ટ્વિટર હેન્ડલને ટેગ કરતાં યુવકની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે આ યુવકની સામે મામલો નોંધી લીધો છે અને હાલ તેને શોધી રહ્યાં છે.
માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહમદ અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલની રાતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલો મીડિયાનાં કેમેરામાં કેદ થયો હતો. આ ઘટનાનાં 2 દિવસ પહેલાં પોલીસ એન્કાઉન્ટરમાં અતીકનો દીકરો અસદ પણ મૃત્યુ પામ્યો હતો. આ સમગ્ર મામલાને લઈને ખાનગી ચેનલ ABPએ એક સર્વે કર્યો હતો. વિપક્ષી નેતાઓ ભાજપ પર આરોપો મૂકી રહ્યાં છે ત્યારે સામાન્ય જનતા શું કહી રહી છે તે અંગે જાણકારી આ ખાનગી ચેનલે મેળવી હતી જેનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે. ABP ન્યૂઝ માટે C વોટરે સર્વે કર્યો હતો જેમાં જનતાને સવાલ કરવામાં આવ્યો કે અતીકનાં મોતનું કારણ તેઓ શું માને છે. તેના પર લોકોએ જે જવાબ આપ્યો તે જોઈને તમે ચોંકી જશો. પરસ્પર દુશ્મનાવટ - 8%, રહસ્યો જાહેર થવાનો ભય - 29%, ગેંગવોર - 19%, સરકારની બદનામી કરવાનો ઈરાદો - 27%, ખબર નથી - 17%
ઈન્ફ્લુએન્સર રેવંત હિમતસિંગ્કાને કથિત રીતે કેડબરી પાસેથી એક લિગલ નોટિસ મળી છે. જ્યારે તેમનો એક વીડિયો કેડબરીના ઉત્પાદન Bournvitaના સ્વાસ્થ્ય માપદંડોના રૂપમાં સમર્થનની આલોચના કરતા વાયરલ થયો હતો. પ્રભાવિત વ્યક્તિએ પોતાના દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી પોસ્ટને હટાવી દીધી છે. વીડિયોમાં શ્રી હિમ્મતસિંગ્કાએ પ્રોડક્ટના 'પોષણ મુલ્ય'ને ખોટી રીતે લખવા વિશે જણાવ્યું હતું. તેમણે એ દાવાઓનો પણ મજાક ઉડાવ્યો જે બ્રાન્ડ પોતાના પેકિંગ પર કરે છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં મુંબઈ ઈન્ડિયન્સે જીતની હેટ્રિક ફટકારી છે. તેણે ટૂર્નામેન્ટની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. જીતનો હીરો કેમેરોન ગ્રીન હતો, જેણે ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જ હૈદરાબાદની ટીમની સતત 2 જીત બાદ પ્રથમ હાર છે.
બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના રિલેશનશીપ અંગેની અફવા અને ચર્ચા સમગ્ર સોશિયલ મીડિયામાં થઈ રહી છે. બંનેને ડિનર બાદ એક રેસ્ટોરેન્ટની બહાર સ્પોટ કરવામાં આવ્યાં હતાં જેના બાદ તેમની ડેટિંગને લઈને લોકોમાં વધુ ચર્ચા થઈ રહી છે. બંનેને અનેકવાર મુંબઈ અને દિલ્હીનાં એરપોર્ટ પર પણ એકસાથે સ્પોટ કરાયા છે જેના લીધે તેમના અફેરની અફવાઓ બધે ઊડી રહી છે. હાલમાં એક્ટ્રેસને સેલિબ્રિટી મેનેજર પૂનમ દમાનિયાની ઓફિસમાં સ્પોટ કરવામાં આવ્યું હતું. ત્યારે વીડિયોમાં પરિણીતિની રિંગ ફિંગરમાં સિલ્વર વિંટી નજરે પડી રહી છે. આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. યૂઝર્સ કહી રહ્યાં છે કે કદાચ પરિણીતિ અને રાઘવે સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં પરિનીતિ દુલ્હન બની શકે છે. વીડિયોમાં પરિણીતિ ચોપડા સફેદ ટોપ- ઓપન શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલી જોવા મળે છે.