રાજ્યની મહાનગર પાલિકા અને નગરપાલિકા, શહેરી વિકાસમંડળો માટે 4 હજાર 563 કરોડ ફાળવાયા છે. 2022 સુધીમાં 55 હજાર આવાસોનું નિર્માણ કરાશે.
આત્મનિર્ભર અંદાજપત્ર
ક્યાં કેટલી ફાળવણી કરાઇ?
અર્બન ડેવલપમેન્ટમાં કેટલી ફાળવણી?
બજેટમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે 13 હજાર 493 કરોડની ફાળવણી કરાઇ છે. રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા, શહેરી વિકાસમંડળો માટે 4 હજાર 563 કરોડ ફાળવાયા છે. 2022 સુધીમાં 55 હજાર આવાસોનું નિર્માણ કરાશે. 55 હજાર આવાસોના નિર્માણ માટે 900 કરોડની જોગવાઇ કરાઇ છે.
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર મનપાને સ્માર્ટ સિટી હેઠળ રકમની જોગવાઇ કરાઇ છે. 5 મનપા અને ગોધરા નગરપાલિકાને સ્માર્ટ સિટી હેઠળ 700 કરોડની જોગવાઇ કરાઇ છે. જ્યારે 8 મનપા-23 નપામાં પાણી,ગટર,પરિવહન સુવિધા માટે 650 કરોડ, સ્વચ્છ ભારત મિશન-નિર્મળ ગુજરાત હેઠળ 200 કરોડ, મહિલા ઉત્કર્ષ યોજનામાં 1 લાખ સુધી વ્યાજ વિના ધિરાણ માટે 80 કરોડની જોગવાઇ કરાઇ છે.
ભૂગર્ભ ગટર યોજના માનવબળ રહિત સંચાલન માટે 50 કરોડ, અગ્રિશમન વાહનો-અત્યાધુનિક સાધનો માટે 39 કરોડ, ફાયર સેફ્ટિ કોપ પોર્ટલથી તાલીમ-પ્રમાણપત્ર માટે 20 કરોડની ફાળવણી કરાઇ છે. જ્યારે રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગરમાં મેટ્રો લાઇનનું આયોજન કરાશે. 4 મહાનગરોમાં મેટ્રો સેવા પૂરી પાડવાના આયોજન માટે 50 કરોડની ફાળવણી કરાઇ છે. સરકારની ગિફ્ટ સિટી કંપનીમાં મૂડી રોકાણ માટે 100 કરોડની જોગવાઇ કરાઇ છે.
ઇતિહાસનું સૌથી મોટું બજેટ
ઇતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી નીતિન પટેલે 2021-22નું રજૂ કર્યું છે તે ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. નીતિન પટેલે કુલ 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં કૃષિ વિભાગ માટે 27 હજાર 232 કરોડ અને શિક્ષણ વિભાગ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3 હજાર 511 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટ રજૂ કરતાં પહેલા કોરોનાકાળમાં સરકારે કરેલા કામોના કર્યા વખાણ
ગુજરાતના બજેટને રજૂ કરતાં પહેલા નીતિન પટેલે આજે કોરોના કાળમાં ગુજરાત સરકારે કરેલા કામ ગણાવ્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઑમાં વ્યવસથા ઊભી કરવામાં આવી. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં તંબુઑ બાંધવા પડ્યા અને સ્ટેડિયમમાં દર્દીઑ રાખવા પડ્યા હતા .પરંતુ ગુજરાતમાં ખૂબ મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને તે બદલ વિજય રૂપાણીનો આભાર માનું છું. આવું સુંદર આયોજન આખા ભારતમાં માત્ર ગુજરાતમાં થયું છે.
નીતિન પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સતત માર્ગદર્શન આપ્યું હતું અને તેમાં તેમણે આયુર્વેદિક દવાઓ પર ભાર મૂક્યો હતો અને તે માટે અમે કરોડો લોકોને ઇમ્યુનિટી માટે પડીકી અને ઉકાળા આપ્યા.