ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનમાં વિશેષ આસ્થા ધરાવે છે. ભૂપેન્દ્ર પટેલ અને દાદા ભગવાન ફાઉન્ડેશનનો નાતો આજકાલનો નથી, પરંતુ 20 વર્ષ કરતા પણ જૂનો છે.
દાદા ભગવાનમાં વિશેષ આસ્થા ધરાવે છે ભૂપેન્દ્ર પટેલ
સફળતા અને જીતનો શ્રેય તેઓ દાદા ભગવાનને આપે છે
દાદાના હુલામણા નામથી ઓળખાય છે ભૂપેન્દ્ર પટેલ
ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરી મુખ્યમંત્રી બનનારા ભૂપેન્દ્ર પટેલ બીજા ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલની ખાસિયત એ છે કે તેઓ મૃદુભાષી અને શાંતિપ્રિય છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં દાદાના હુલામણા નામથી ઓળખાય છે. ખાસ કરી તેઓ દાદા ભગવાનમાં વિશેષ આસ્થા ધરાવે છે.
ચૂંટણીમાં જીત બાદ રાત્રિ સત્સંગમાં આપી હતી હાજરી
અત્યંત શાલીન અને મૃદુભાષી ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા આયોજીત સત્સંગમાં હાજરી પણ આપે છે. ચૂંટણીમાં ભવ્ય જીત બાદ તેઓએ દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા આયોજીત પૂજ્ય દીપકભાઈના રાત્રિ સત્સંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓનું મૃદુ અને સૌમ્ય વ્યક્તિત્વ પણ લોકોને જોવા મળ્યું હતું અને દાદાએ હળવી શૈલીમાં લોકો સાથે વાતચીત પણ કરી હતી.
20 વર્ષ કરતા પણ જૂનો છે નાતો
ભૂપેન્દ્ર પટેલ અને દાદા ભગવાન ફાઉન્ડેશનનો નાતો આજકાલનો નથી, પરંતુ 20 વર્ષ કરતા પણ જૂનો છે. સ્વ.નિરુમાના વતવ્યો અને પ્રવચનોથી ભૂપેન્દ્ર પટેલ ખૂબ પ્રભાવિત થયા હતા. આ કારણથી જ તેમણે સ્વ. નિરુમા પાસેથી અસંખ્યવાર જ્ઞાનવિધિ મેળવેલી હતી. આજે પણ પોતાની સફળતા અને જીતનો શ્રેય તેઓ દાદા ભગવાનને આપે છે. જોકે, સત્સંગ સાથેના પોતાના સંબંધને લઈને રસપ્રદ વાત પણ તેમણે જણાવી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લોકો મને આવીને જય સચ્ચીદાનંદ કહે ત્યારે હું તેને પૂછું છું કે તું ક્યા સેન્ટરમાં જાય છે.
CM પદના શપથ લેતા પહેલા પહોંચ્યા હતા ત્રિમંદિર
આપને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત સીએમ બન્યાં ત્યારબાદ આધ્યાત્મના રંગના કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. શાલિન અને મૃદુભાષી એવા ભૂપેન્દ્ર પટેલને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા છે. પ્રથમવાર મુખ્યમંત્રી તરીકે તેમનું નામ જાહેર થયા બાદ ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે જઈને સરકાર રચવાનો દાવો કર્યો હતો અને ત્યારબાદ તેઓ સીધા જ અડાલજ ખાતે આવેલા ત્રિમંદિરે પહોંચ્યા હતા. ત્રિમંદિર ખાતે તેઓએ દાદા ભગવાન ફાઉન્ડેશનના અધ્યક્ષના આશીર્વાદ લીધા હતા. તેમની આવી શ્રદ્ધા અને સંસ્કારના દર્શન કરાવતો વીડિયો પણ જોતજોતામાં વાયરલ થયો હતો. તો બીજા દિવસે પણ તેમણે મુખ્યમંત્રી ઓફિસમાં સ્થાન ગ્રહણ કરતા પહેલા સિમંધર સ્વામીની આરસની મૂર્તિ બિરાજમાન કરી હતી.