ભાવનગર શહેરમાં ખરાબ રસ્તાને લઇ યુવરાજ જયરાજસિંહના ટ્વિટ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે.
ભાવનગર શહેરમાં રસ્તા રિપેરીંગની કામગીરી શરૂ
મનપાએ અલગ-અલગ વિસ્તારમાં તૂટેલા રસ્તા રિપેર કરવા શરૂ કર્યા
યુવરાજ જયરાજસિંહના ટ્વીટ બાદ તંત્ર દોડતું થયું
ભાવનગર શહેરમાં ખખડધજ માર્ગને લઇને ભાવેણાના યુવરાજ જયરાજસિંહે 5 દિવસ પહેલા ટ્વીટ કર્યું હતું. જેને લઇને હવે મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે અને વરસાદમાં ખખડી ગયેલા માર્ગનું રિપેરીંગ કરી નવાનકોર બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગરમાં નેતાઓની મુલાકાત સમયે જ રસ્તા રિપેર થતા હોવાનો ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. ત્યારે આ મામલે હવે મનપાએ અલગ-અલગ વિસ્તારમાં તૂટેલા રસ્તાનો સર્વે કરી રિપેરિંગ કામ હાથ ધર્યું છે. તો બીજી તરફ લોકોને પણ સમસ્યા હલ થવાની આશા બંધાણી છે.
આ મામલે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજીએ વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમને જણવ્યું કે નેતાઑની સભા અને પ્રોગ્રામમા કરોડો રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરાઈ છે. તો લોકોના ઘર પાસેના રસ્તા સારા કરવાની દિશામાં પણ કાર્યવાહી હાથ ધરવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું હતું કે હું પ્રજાના પ્રશ્ને કાયમ બોલતો રહીશ. રસ્તા ઉપરાંત રખડતા ઢોર મામલે પણ જયવીરરાજસિંહજીએ નારાજગી વ્યક્ત કરી હતી.
શું હતો મામલો ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા પક્ષની એન્ટ્રી બાદ પડતર કામોના ખાતમુહૂર્ત થવા લાગ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો આવ્યો છે. જેને લઇને તાજેતરમાં ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ અમદાવાદ-ભાવનગર હાઈવેના વખાણ કર્યા હતા.જે અંગેનો વિડીયો વાયરલ કરતાં રસ્તા મામલે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે પણ ટ્વીટ કરીને મંત્રીને રસ્તાની વાસ્તવિકતા જણાવી હતી.
મંત્રીઓ આવે ત્યારે થાય છે રસ્તાનું સમારકામઃ જયવીરરાજસિંહ ગોહીલ
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી. જેમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. જો કે, શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખખડધજ હાલતમાં છે અને મોટાભાગે ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે, ત્યારે જ તેનું સમારકામ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તમે બધા અવારનવાર અમારી મુલાકાત લેશો જેથી રસ્તાઓ સુધરતા રહે. ભાવનગર યુવરાજના ટ્વીટને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. ત્યારબાદ તંત્ર દ્વારા તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી છે.