આજના સમયમાં દર ત્રીજી વ્યક્તિએ પેટની ખરાબીની સમસ્યા જોવા મળે છે. આવા સંજોગોમાં પેટ ખરાબ થવા કે કારણ વગર ગુડગુડ અવાજ આવવો પણ સામાન્ય છે. યોગ્ય સમયે ભોજન ન કરવાથી પણ તેમ થઇ શકે છે. ખાલી પેટમાં ગેસ બનવાથી પેટમાં ભારેપણુ અનુભવાય છે. લાંબા સમયથી આ પરેશાની હોય તો તેને ઇગ્નોર ન કરશો. આ પરેશાની પર ધ્યાન ન આપવાથી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે.
લાંબા સમય સુધી દવાનું સેવન કરો તો પણ પેટમાં ગુડગુડ અવાજ આવે છે. આવા સંજોગોમાં ડોક્ટર અલ્ટ્રાસાઉન્ડ કે એક્સ-રે કરાવવાનું પણ કહે છે, કેમ કે આંતરડાંના કેન્સર પહેલાં આવી સમસ્યા થતી હોય છે. તેથી કોઇ પણ પ્રકારની સમસ્યા થાય તો તેની અવગણના ન કરતાં ડોક્ટરનો સંપર્ક કરો, જેથી બીમારીનો ઇલાજ સમયસર થઇ શકે.
પેટમાં અવાજ આવવાનાં અન્ય કારણો
• ખાસ કરીને લોકો ભોજનને સારી રીતે અને ચાવીને ખાતા નથી. તેથી પેટમાં ગેસ ભરાઇ જાય છે. તેથી જ્યારે ભોજન અન્નનળીથી નીચે ઊતરે છે તોસાથે હવા પણ અંદર પ્રવેશે છે. આ કારણે પેટમાંથી અવાજ આવવા લાગે છે.
• ભોજનને પચાવવાની પ્રક્રિયાના સમયે જ્યારે એન્ઝાઇમ્સથી જમવાનું તૂટે છે તો પેટમાં ગેસ બને છે, જે પેટમાંથી અવાજ નીકળવાનું કારણ બને છે.
• કેટલાય કલાકો સુધી કંઇ પણ ખાધા વગર પેટમાં ગેસ થઇ શકે છે. તેનાથી પાચનતંત્ર નબળું પડે છે અને પેટમાંથી અવાજ આવવા લાગે છે.
આટલું રાખો ધ્યાન
• જમવામાં ફાઇબર અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર પદાર્થોનું સેવન કરો. આદુંને તમારા ડેઇલી રૂિટનમાં સામેલ કરો
• વધુ સમય સુધી ભૂખ્યા રહેવાથી બચો. ભૂખ લાગે તો તાત્કાલિક ચાવીને ભોજન કરો.
• ચા-કોફીનું સેવન ઓછી માત્રામાં કરો
• કોબીજ, બ્રોકલી, બીન્સ વગેરે વસ્તુઓના સેવનથી ગેસની સમસ્યા થાય છે. તેના સેવનથી બચો. રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીઓ.
• યોગ્ય માત્રામાં ઊંઘ લો.