2020નું વર્ષ સતત ખરાબ ને ખરાબ સમાચારોની હારમાળા આપી રહી છે. આ વર્ષે મૃત્યુ પામેલા લોકોની યાદીમાં હજુ એક નામ જોડાયું છે જે છે વિશ્વભરમાં પ્રખ્યાત થયેલા પારસી જ્યોતિષશાસ્ત્રી બેજાન દારૂવાલા. છેલ્લા થોડા દિવસથી વેન્ટિલેટર ઉપર રહેલા બેજાન દારૂવાલાને કોરોના પોઝિટિવ હતા તેવા અહેવાલો સામે આવ્યા છે.
કોણ હતા બેજાન દારૂવાલા
માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરમાં અગ્રગણ્ય, ખ્યાનામ જ્યોતિષી બેજાન દારૂવાલાનો જન્મ 11 જુલાઈ 1931ના રોજ પારસી પરિવારમાં થયો હતો. દારૂવાલા ભગવાન ગણેશજીના ઉપાસક અને પરમ ભક્ત હતા. તેઓ વેદિક જ્યોતિષશાસ્ત્ર, પશ્ચિમી જ્યોતિષશાસ્ત્ર, ચીની જ્યોતિષશાસ્ત્ર, ટેરો કાર્ડ રીડિંગ, કબાલાહ અને હસ્તરેખા વાંચવાના નિષ્ણાત હતા. 89 વર્ષની વયે પણ તેઓ આ ક્ષેત્રમાં સક્રિય રહ્યા હતા. જ્યોતિષ ક્ષેત્રમાં તેમનું માર્ગદર્શન સચોટ ગણાતું હતું. તેમને સંખ્યાબંધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલા છે.
બેજાન દારૂવાલાએ વિશ્વની પ્રથમ જ્યોતિષ વેબસાઈટ ગણેશાસ્પિક્સ.કોમ બનાવી હતી તેમને સદીના જ્યોતિષનો ખિતાબ 27 ઓગસ્ટ 2000માં મળ્યો હતો. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસ્ટ્રોલોજીએ તેમને જ્યોતિષી મહાહોપાધ્યાયથી સન્માનિત કર્યા હતા
આ ઘટનાઓની ભવિષ્યવાણી સાચી તો આ ઘટનાઓની ભવિષ્યવાણી ખોટી પડી હતી
અહેવાલો પ્રમાણે બેજાન દારૂવાલાએ અટલ બિહારી વાજપેયી, મોરારજી દેસાઈ, નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાનોની જીતની સફળ ભવિષ્યવાણી કરી હતી. વર્ષ 2004માં યુપીએ સત્તામાં આવ્યા પહેલા મનમોહનસિંહ અંગે આગાહી કરી હતી. એવું કહેવાય છે કે તેમણે ભાજપના ઉદયની, રાજીવ ગાંધીની હત્યા, સંજય ગાંધીનો અકસ્માત, ઇન્દિરા ગાંધીની હત્યા, ભોપાલ ગેસ દુર્ઘટના, ગુજરાત ભૂકંપ, કારગીલ વોર સુનામી જેવી દુર્ઘટનાઓની આગાહી કરી હતી. તેઓ હંમેશા પોતાનું જ્યોતિષજ્ઞાન યુવા જ્યોતિષો સાથે વહેંચવા અને તેમને શીખવવા માટે તત્પર રહેતા.
જો કે ક્રિકેટ વર્લ્ડકપ 2003 અને 2007માં તેમણે કરેલી આગાહી ખોટી પડી હતી.
અહેવાલો અનુસાર તેમને ન્યોમોનિયા ઉપરાંત ફેફસાનું કેન્સર હતું જે પગલે તેમની હાલત કથળી હતી અને તેમના શરીરનું ઓક્સિજનનું સ્તર ઘટી ગયું હતું.