પીએમ મોદી સાથે ગુજરાતમાં મંત્રી અને વરિષ્ઠ નેતાઓને ચાય પે ચર્ચાનો મોકો મળી જાય છે.. પરંતુ નવી સરકારની રચના બાદ કેટલાક મંત્રીઓએ દિલ્લીમાં મોદી સાહેબ સાથે ચાની મુલાકાતનો અવસર સાંપડ્યો હતો.
2024માં લોકસભા ચૂંટણી પહેલા નવા મંત્રીઓ બનાવવાની ચર્ચા
બોર્ડ નિગમ માટે નામાવલિ મંગવાઈ અને તૈયાર કરાઈ રહ્યાનું સંભળાઈ રહ્યું છે
ભરતસિંહ પ્રદેશ પ્રમુખ તરીકેને તાજપોશી અશક્ય બની ગઈ ?
નવી સરકારની રચના બાદ સીએમ ભૂપેન્દ્રભાઈએ મંત્રીઓને વિભાગની મુલાકાત લેવા સૂચન કર્યું... જેના પગલે કેટલાક મંત્રીઓ અવારનવાર ઑફિસમાં અચાનક નિરિક્ષણ કરવા પહોંચી જાય છે તો બીજી એક વાત એવી છે કે, ‘કશ્મીર ફાઈલ્સ’ના ટેક્સ ફ્રી નાણા હજુ થિયેટર માલિકોને મળ્યા નથી જેના માટે સોફ્ટવેરના ધાંધિયા જવાબદાર મનાઈ રહ્યા છે. એવામાં ધ કેરાલા સ્ટોરીનો નિર્ણય કરવો કેમ ?
ગુજરાતમાં ‘ધ કેરેલા સ્ટોરી ‘ આ કારણે ન થઈ શકી ટેક્સ ફ્રી?
‘ધ કેરેલા સ્ટોરી ‘કર્ણાટકની ચૂંટણીથી લઈ સોશિયલ મીડિયામાં ખૂબ ગાજી. ભાજપ શાસિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોએ ધ કેરાલા સ્ટોરીને ટેક્સ ફ્રી પણ કરી દીધી. ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી થવાની વાતો ખૂબ ચાલી, પરંતુ ધ કેરાલા સ્ટોરી ટેક્સ ફ્રીનો નિર્ણય આવ્યો નહીં. હવે એમાં વાત એવી મળી છે કે રાજ્ય સરકાર ટેક્સ ફ્રી તો જાહેર કરી આપે પરંતુ સિનેમાઘરોના માલિકોને ફાયદો પણ તો થવો જોઈએ ને. સૂત્રોએ આ માટે જીએસટી વિભાગને જવાબદાર ગણાવ્યો છે. કારણ કે. ‘કશ્મીર ફાઈલ્સ’ના ટેક્સ ફ્રી નાણા હજુ થિયેટર માલિકોને મળ્યા નથી જેના માટે સોફ્ટવેરના ધાંધિયા જવાબદાર મનાઈ રહ્યા છે. એવામાં ધ કેરાલા સ્ટોરીનો નિર્ણય કરવો કેમ ?
મંત્રીઓની વ્યથા
નવી સરકારની રચના બાદ સીએમ ભૂપેન્દ્રભાઈએ મંત્રીઓને વિભાગની મુલાકાત લેવા સૂચન કર્યું... જેના પગલે કેટલાક મંત્રીઓ અવારનવાર ઑફિસમાં અચાનક નિરિક્ષણ કરવા પહોંચી જાય છે.. અધિકારીઓ બરોબર કામ કરી રહ્યા છે કે નહીં ? ટાઈમસર આવી રહ્યા છે કે નહીં તેનું અવલોકન પણ કરે છે. સરકારના આવામાં એક સિનિયર મંત્રીને કરાર આધારિત અધિકારી- કર્મચારીનો કડવો અનુભવ થયો છે. કાયમી કર્મચારીઓને નોકરી અને સેવાપોથીમાં નોંધનો ડર હોય છે જેથી નિયમનું પાલન કરતા જોવા મળે છે. પરંતુ કરાર આધારિ અધિકારી- કર્મચારીઓની કામગીરીમાં આ વાત જોવા મળતી નથી. આ તબક્કે મંત્રીશ્રીએ મહત્વની જગ્યા પર કાયમી કર્મચારી જ રાખવા જોઈએ તેવો મત પણ ખાનગીમાં વ્યક્ત કર્યો.
કર્ણાટકમાં પદયાત્રા સામે પેજ સમિતિ સમેટાઈ ગઈ
ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં પેજ સમિતિનો જયજયકાર થયો.. ગુજરાત પેજ મૉડેલની ભવ્ય સફળતાનો લાભ લેવા ભાજપે ગુજરાતના કેટલાય નેતાઓને કર્ણાટક મોકલી આપ્યા. કર્ણાટકમાં ગુજરાત ભાજપના નેતાઓના અનુભવ થયો કે જ્યાં પેજ સમિતિ માટે જાય છે ત્યાં યાત્રા યાત્રા જ સંભળાય છે... છેવટે પૂછ્યું કે આ યાત્રા યાત્રા ક્યા હે ત્યારે ખબર પડી કે રાહૂલભાઈની પદયાત્રાની વાત ચાલી રહી છે. છેવટે કર્ણાટકના પરિણામે બતાવ્યું કે રાહુલ ગાંધીની પદયાત્રા સામે પેજ યાત્રા એટલે કે પેજ સમિતિ પાણીમાં બેસી ગઈ...
બોર્ડ નિગમમાં ક્યારે વારો આવશે ?
2022ની ચૂંટણી પહેલા પક્ષમાં અસંતોષ ખાળવા બોર્ડ નિગમમાં નિમણૂંક થશે તેવી વાત જોરશોરથી ચાલી..ચૂંટણી આવી અને ગઈ પણ ખરી.. પરંતુ બોર્ડ નિગમમાં નિમણૂંકની વાત અધ્ધરતાલ જ રહી. અનેક બોર્ડ નિગમમાં ચેરમેન-ડેપ્યુટી ચેરમનેના પદ ખાલી પડ્યા છે. હવે ફરી એક વખત બોર્ડ નિગમ માટે નામાવલિ મંગવાઈ અને તૈયાર કરાઈ રહ્યાનું સંભળાઈ રહ્યું છે.. પાર્ટી કાર્યકરોમાં ગણગણાટ છે કે આ વખતે પણ નિમણૂંક થશે કે ચૂંટણી પહેલાની જેમ નામો વેઈટીંગ લીસ્ટ બનીને રહી જશે.
વિસ્તરણ થશે કે નહીં ?
ભૂપેન્દ્રભાઈની સરકારમાં થોડા થોડા સમયે વિસ્તરણની વાતો વહેતી થાય છે. ક્યારેક સચિવાલયની લોબીમાં તો ક્યારેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. બોર્ડ નિગમનું ઠેકાણું પડ્યું નથી ત્યાં મંત્રી મંડળના વિસ્તરણનો અંદાજો લગાવાય છે. કર્ણાટક ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હવે તો વિસ્તરણ થવું જોઈએ તેવું એક વર્ગ માને છે તો દિવાળી સુધીમાં કંઈક નવાજુની થશે તેવો પણ અંદાજો લગાવાયો રહ્યો છે.. 2024માં લોકસભા ચૂંટણી પહેલા નવા મંત્રીઓ બનાવવાની ચર્ચા થાય છે. પરંતુ વિસ્તરણની વાત સાથે જ કેટલાક સંભવિતોની આંખો ચમકી ઉઠે છે. જો કે સવાલ એ પણ છે કે વારંવાર આ વિસ્તરણનો પલીતો ચાંપે છે કોણ ?
પીએમ સાથે ચાય પે ચર્ચા
પીએમ મોદી સાથે ગુજરાતમાં મંત્રી અને વરિષ્ઠ નેતાઓને ચાય પે ચર્ચાનો મોકો મળી જાય છે.. પરંતુ નવી સરકારની રચના બાદ કેટલાક મંત્રીઓએ દિલ્લીમાં મોદી સાહેબ સાથે ચાની મુલાકાતનો અવસર સાંપડ્યો હતો.. પીએમઓમાં મુલાકાતની ક્ષણોને કેટલાક મંત્રીઓએ સોશિયલ મીડિયા પર શેયર પણ કરી હતી. પરંતુ કેટલાક મંત્રીઓએ તો દિલ્હીમાં પીએમ સાથેની મુલાકાતના ફોટા મઢીને ઑફિસમાં ટીંગાડી દીધા છે.. એક સમયે પીએમ મોદીના રાજકીય હરીફ ગણાતા નેતા સાથે જેમનો નિકટનો નાતો હતો તેવા મંત્રીશ્રીએ પીએમ સાથે ચાની ચુસકીનો ફોટો પોતાની ઓફિસમાં પણ મુકી દીધો છે. જાણે કે મુલાકાતીઓને ખબર પડે કે ભઈ આપણે તો પીએમ સાથે ચા પાણીનો વ્યવહાર છે..
પ્રદેશ કારોબારીમાં ટોપીની મગજમારી
2022ની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના રોડ શૉમાં ટોપીએ એન્ટ્રી મારી પછી તો જાહેર કાર્યક્રમોથી લઈ ટીવી ડિબેટ સુધી ભાજપ નેતાઓ અને કાર્યકરો માટે ટોપી ફરજિયાત બની ગઈ.. અરે ટોપી વિના ટીવી ડિબેટમાં બેઠેલા ભાજપના પ્રવક્તાઓને ચાલુ ડિબેટે સિનિયર નેતાઓ ટોપી પહેરવાની સૂચના સુદ્ધા આપતાં હતા.. પરંતુ ચૂંટણી શું ગઈ. ટોપીનો ટ્રેન્ડ જાણે વિખેરાઈ ગયો.. વાત એમ બની કે હમણા થોડા દિવસ પહેલા જ યોજાયેલી ભાજપની પ્રદેશ કારોબારીમાં અપેક્ષિત નેતાઓ-કાર્યકરોને એક વેલકમ કીટ આપવામાં આવી હતી. જેમાં ભાજપનું સાહિત્ય, નાસ્તો, ઓળખકાર્ડ અને ભાજપનો ખેસ હતો પરંતુ ટોપી ગાયબ હતી. કેટલાક કાર્યકરોમાં ગણગણાટ થયો કે શું હવે ટોપી નથી પહેરવાની કે ? કેટલાક ઉત્સાહી કાર્યકરોએ એક વરિષ્ઠ નેતાને એક એક કરીને પૂછવાનું ચાલુ કર્યું કે હવે આ ટોપી પહેરવાની કે આજથી બંધ ? ભાજપના આ નેતા અકળાઈ ઉઠ્યા. પૂછ્યું તો ખબર પડી કે ટોપીના મીસીંગમાં કાર્યાલયનું મિસ મેનેજમેન્ટ જવાબદાર છે.
કૉંગ્રેસમાં ભરતસિંહની ભૂમિકા શું ?
2022ની ચૂંટણીમાં કારમી હાર બાદ પ્રદેશ પ્રમુખના વિદાય જાણે કે નક્કી થઈ ગઈ.. સૂત્રો મુજબ ભરતસિંહે પણ ગુજરાત કૉંગ્રેસના કેપ્ટન તરીકે હામી ભણી લીધી હતી. પરંતુ પિતરાઈ ભાઈએ જ ભરતભાઈની બાજી જાણે કે બગાડી નાખી..
અમિત ચાવડા ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યારે ભરતસિંહના આશિર્વાદ સાથે હતા.. પરંતુ પ્રદેશ પ્રમુખની ટર્મમાં અમિતભાઈના સંબંધો હાઈકમાન્ડમાં મજબુત થઈ ગયા.. આ તરફ ભરતસિંહ પ્રદેશ પ્રમુખનું સ્વપ્ન સેવતા હતા ત્યારે અમિત ચાવડાએ વિપક્ષ નેતાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. ભરતભાઈને ખબર હોય કે ના હોય પરંતુ અમિત ચાવડા વિધાનસભા નેતા વિપક્ષનું પદ મેળવવા સફળ રહ્યા... હવે અમિત ચાવડા નેતા વિપક્ષ બનતા સ્વાભાવિક જ જ્ઞાતિ સમીકરણના આધારે ભરતસિંહ પ્રદેશ પ્રમુખ તરીકેને તાજપોશી અશક્ય બની ગઈ છે.