ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આજે ત્રીજુ પેપર છે. શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને સવારે જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય બપોરનો ફાળવવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાના સમયે એક પણ અનિચ્છનીય બનાવ સામે આવ્યો નથી પરંતુ આજે ભાવનગરમાં પરીક્ષામાં મધમાખીએ રંગમાં ભંગ પાડ્યો હતો.
10 વિદ્યાર્થીઓને માર્યા ડંખ
ભાવનગરના તળાજામાં બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખીઓએ આતંક મચાવ્યો. શાંતિ પૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પેપર લખી રહ્યા હતા તે અચાનક જ મધમાખીનું ઝૂંડ ત્રાટકતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તળાજાના સથરા ગામે ચાલુ બોર્ડની પરીક્ષામાં આ બનાવ બન્યો. પરીક્ષામાં બેઠેલા 10થી વધુ વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને પગલે વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઇ ગયા હતા.
થોડીવારમાં માટે પેપર રોકવામાં આવ્યુ
બોર્ડની પરીક્ષા દરમિયાન ટાંકણી પડે તેવી શાંતિ હોય. વિદ્યાર્થીઓ એકાગ્રતાથી પરીક્ષા આપી રહ્યા હતા. તેવામાં મધમાખીઓએ તો આખો માહોલ જ બદલી નાંખ્યો. વિદ્યાર્થીઓ પણ ડરી ગયા અને પેપર છોડીને ભાગવા લાગ્યા. થોડીવાર માટે તો પરીક્ષા રોકી દેવામાં આવી હતી. જો કે સ્થિતિ થાળે પડતા શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ માટ શાળાના સંચાલક દ્વારા તાત્કાલિક 108ને બોલાવી અને વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર માટે લઇ જવાયા હતા.