બનાસકાંઠા તલાટી મંડળ ફરી એકવાર આંદોલનના માર્ગે, ટીડીઓ પર આર્થિક બાબત અંગે કર્યા મોટા આક્ષેપો
બનાસકાંઠા તલાટી મંડળ આંદોલનના માર્ગે
TDO પર કર્યા ગંભીર આક્ષેપ
27 જૂનથી હડતાળ પર ઉતરવાની ચીમકી
ફરી એકવાર બનાસકાંઠા તલાટી મંડળ વિરોધે ચઢ્યું છે. બનાસકાંઠા તલાટી મંડળે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી પર આક્ષેપો લગાવીને હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તલાટી મંડળનો આક્ષેપ છે કે ટીડીઓ દ્વારા આર્થિક માગણી કરવામાં આવે છે સાથે જ 33 ટકા વેરા વસૂલાત છતાં ટીડીઓ ઇજાફો અટકાવતા હોવાના પણ આક્ષેપ કર્યા છે.
27 જૂનથી હડતાળ પર જવાની ચીમકી
બનાસકાંઠા તલાટી મહામંડળે આ મામલે ડેપ્યુટી ટીડીઓ સમક્ષ રજૂઆત કરી છે. ટીડીઓ સામે પગલા લેવાની માગ કરી છે તેમજ આ અંગે તપાસ કરવાની માગ કરીને હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. જો તલાટી મંડળની માગણીઓ નહીં સંતોષાય તો આગામી 27 જૂનથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ફરી એકવાર જનતાએ તલાટી મંડળની હડતાળને પગલે ધક્કા ખાવાનો વારો આવી શકે છે.
અગાઉ DDO સામે તલાટી મંડળે રોષ વ્યક્ત કર્યો
અગાઉ પણ તલાટી મંડળ રોષે ભરાયુ હતું. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને કોઇ બાબતે રજૂઆત કરવા માટે સોમવાર અને ગુરુવાર આ બંને દિવસ ફાળવવામાં આવ્યા છે. આ દિવસે મુલાકાતીઓ ડીડીઓને મળીને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રીઓ મંડળના પ્રમુખની આગેવાનીમાં જિલ્લા અધિકારીને મળવા માટેનો સમય લીધો હતો. ડેપ્યુટી ડીડીઓને પણ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીને મળવા માટે 26 માર્ચે 3 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ આ દિવસે સાંજે 5 વાગ્યા સુધી બેસાડી રાખ્યા બાદ તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખને જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરમાં પ્રવેશ આપવાની ના પાડી દેવામાં આવતા તલાટી મંડળનો રોષ ફાટી નીકળ્યો હતો.