બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલના ગેરકાયદેસર પાણીના કનેકશન કાપવામાં આવ્યા છે.થરાદથી રડકા પાસેની મુખ્ય કેનાલ પર ગેરકાયદેસર કનેક્શન કાપવામાં આવ્યા હતા. ગેરકાયદેસર પાણીના કનેકશન કાપવાની ત્રણ દિવસ ઝુંબેશ ચાલશે. અધિકારીઓ સ્થાનિક પોલીસ SRP જવાનોને સાથે રાખી કામગીરી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે નર્મદા કેનાલ જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં નજીકમાં રહેલ ખેતરોના માલિકો દ્વારા ગેરકાયદસર કનેક્શન મૂકીને કેનાલમાંથી પાણી ચોરી કરવામાં આવતી હોય છે ત્યારે તંત્ર દ્વારા આવા ખેડૂતો સામે લાલ આંખ કરીને તેમના ભૂતિયા કનેક્શન કાપીને કાયદેસરની કાર્યવાહી પણ કરે છે આ મામલે ફરીવાર બનાસકાંઠાના થરાદથી રડકા સુધીની કેનાલ પર આવેલ ગેરકાયદેસર પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે તંત્ર આ કામગીરી સ્થાનિક પોલીસ અને SRPના જવાનો સાથે રાખીને કરવામાં આવી રહી છે કારણકે થોડા સમય પહેલા બનાસકાઠાંના વાવ નજીક આવેલ કેનાલ પર નર્મદાના અધિકારીઓને એક ટિમ દ્વારા ગેરકાયદેસર કનેક્શન કાપવાની તજવીજ હાથ ધરવામાં આવી ત્યારે કેટલાક ખેડૂતો રોષે ભરાયા હતા અને અધિકારીઓ સામે બળવો કરીને તેમને ભગાડી મુક્યા હતા. આ ઘટના બાદ કોઇ અઘટિત બનાવ ના બને તે માટે તંત્ર દ્વારા બંદોબસ્ત સાથે રાખવાની ફરજ પડી હતી.
એક તરફ ઉનાળો જામી પડ્યો છે અને રાજ્યના 204 જેટલા પાણીનો સંગ્રહ કરતા સ્થળોએ માત્ર 29%જેટલો જ પાણીનો હિસ્સો બચ્યો છે ત્યારે ભર ઉનાળે પાણીની અછત સર્જાય નહીં તે માટે ખાસ આયોજન કરવામાં આવે તથા ખેડૂતોને પણ યોગ્ય પાણીનો જથ્થો મળી રહે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.