સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર અયોધ્યા (Ayodhya) માં મસ્જિદ નિર્માણ માટે પાંચ એકડ જમીન લેવા અથવા નહીં લેવા મામલા પર ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ કાનૂની સલાહ લઇ રહ્યું છે. તેનુ કહેવું છે કે તેમણે રવિવારે લખનઉમાં યોજાનારી ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં આ મામલામાં લેવામાં આવેલા નિર્ણયને ખાસ ધ્યાને લેશે.
ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ લેશે કાનૂની સલાહ
સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર મસ્જિદ નિર્માણ માટે પાંચ એકડ જમીન લેવા અથવા નહીં મામલે લેશે નિર્ણય
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં આ મામલામાં લેવામાં આવેલા નિર્ણયને ધ્યાને લેશે
બોર્ડના અધ્યક્ષ ઝફર ફારુકીએ શુક્રવારે કહ્યું કે સુન્ની વકફ બોર્ડ અયોધ્યામાં જમીન લેવા અથવા ન લેવાના મામલા પર મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના નિર્ણયને ખાસ મહત્વ આપશે. તેમણે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અયોધ્યા મામલામાં કોઇ પક્ષકાર નથી. પરંતુ તે દેશમાં મુસલમાનોની સર્વમાન્ય સંસ્થા છે. તેથી તેના નિર્ણયને મહત્વ આપવું યોગ્ય છે.
ફારુકીએ કહ્યું કે હાલ સવાલ એ છે કે શું સુન્ની વકફ બોર્ડ મસ્જિદ નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના આદેશ પર આપવામાં આવી રહેલી પાંચ એકડ જમીન લેવાથી ઇનકાર કરી શકે છે. અને ક્યાંક એવું કરવું કોર્ટની અવમાનના તો નથી. તેના માટે બોર્ડે કાનૂની સલાહ લેવાનું શરૂ કરી દીધું છે.
તેમણે એક સવાલ પર કહ્યું કે જમીન લેવાને લઇને લોકોના અલગ-અલગ વિચાર છે અને તે જમીન પર કોઇ રચનાત્મક કામ કરી આખી દુનિયાને સંદેશ આપવાની મંશા રાખનારા લોકોની સંખ્યા ખુબ જ ઓછી છે. હાલ, બોર્ડ 26 નવેમ્બરે યોજાનારી પોતાની બેઠકમાં આ મામલામાં કોઇ નિર્ણય લેશે. ફારુકીએ જણાવ્યું કે બેઠકમાં આગામી રવિવારે નદવામાં યોજાનારી મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં જમીન લેવા અથવા ન લેવાના મામલામાં લેવામાં આવેલા નિર્ણય પર વિચાર-વિમર્શ થશે.