સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં નિર્ણય સંભળાવતા વિવાદિત જમીન પર રામમંદિર નિર્માણનો આદેશ આપી દીધો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે બાબરી મસ્જિદનું નિર્માણ કોઇ ખાલી જગ્યા પર નહોતુ કરવામાં આવ્યું અને વિવાદિત જમીનની નીચે એક ઢાંચો હતો, જે ઇસ્લામિક ઢાંચો નહોતો. જોકે, કોર્ટે પોતાના નિર્ણયમાં બાબરી મસ્જિદ તોડી પાડવાને કાનૂનનું ઉલ્લંઘન બતાવ્યું છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેન્ચે શનિવારે અયોધ્યા કેસમાં નિર્ણય સંભળાવતા કહ્યું કે બાબરી મસ્જિદને નુકશાન પહોંચાડવુ કાનૂનનું ઉલ્લંઘન હતું. કોર્ટે કહ્યું કે 1934માં મસ્જિદને નુકશાન પહોંચાડવું, 1949માં અપવિત્ર કરવું અને 1992માં મસ્જિદને તોડી પાડવી કાનૂનનું ઉલ્લંઘન હતું.
એટલે કે 6 ડિસેમ્બર 1992એ બાબરી મસ્જિદ તોડી પાડવાને સુપ્રીમ કોર્ટે પણ કાનૂન ઉલ્લંઘન માન્યું છે, ત્યારે સ્પષ્ટ છે કે વિધ્વંસ કેસમાં જે નેતાઓ વિરુદ્ધ ટ્રાયલ ચાલી રહી છે, તેમને અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોઇ રાહત મળતી દેખાઇ રહી નથી.
અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992એ બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કારસેવક અયોધ્યા પહોંચ્યા હતા. સાથે જ બીજેપી અને ઘણા હિન્દુવાદી સંગઠનોના નેતા પણ અહીં પહોંચ્યા હતા. બાબરી વિધ્વસના આરોપમાં બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત 13 નેતાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિનય કટિયાર, ઉમા ભારતી, વિષ્ણુ હરિ ડાલમિયા અને સાધ્વી ઋતંભરા જેવુ મોટુ નામ પણ સામેલ છે. આ મામલામાં ચાર્જશીટ પણ દાખલ થઇ ચુકી છે અને ટ્રાયલ ચાલી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ મામલામાં ક્યારે ચૂકાદો આવે છે.