કર્ણાટક હાઈકોર્ટે ઓપરેશન કમળ કેસમાં રાજ્યના સીએમ બીએસ.યેદિયુરપ્પાની સામે તપાસની મંજૂરી આપી દીધી છે.
બીએસ યેદિયુરપ્પા પર 2019 માં કોંગ્રેસ-જેડીએસ સરકારને ઉથલાવી દેવાનો આરોપ
યેદિયુરપ્પાએ જેડીએસના ધારાસભ્યને તોડવાનો કર્યો હતો પ્રયાસ
ઘટનાનો ઓડિયો વાયરલ થયો હતો
કોંગ્રેસે જ્યુડિશિયલ તપાસની માગણીએ એફઆઈઆર દાખલ કરાવી હતી
મુખ્યમંત્રી બીએસ.યેદિયુરપ્પાને મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે મંજૂરી આપતા હવે તેમની સામે 2019 ના બહુચર્ચિત ઓપરેશન કમળ કેસમાં તપાસ ચાલશે. બીએસ યેદિયુરપ્પાની સામે 2019 માં તત્કાલિન એચડી કુમારસ્વામીની સરકારને ઉથલાવી પાડવાનો તથા જેડીએસના ધારાસભ્યને ખરીદવાનો આરોપ છે. ઓપરેશ કમળ કેસમાં યેદિયુરપ્પા સામેની તપાસ પરનો ફેબ્રુઆરી 2019 નો સ્ટે ઉઠાવી લેતા જસ્ટિસ જોન માઈકલ કુન્હાએ તપાસનો આદેશ આપ્યો છે.
શું છે મામલો
2019 માં જ્યારે કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની આગેવાનીવાળી કોંગ્રેસ-જેડીએસની સરકાર હતી ત્યારે આરોપ છે કે યેદિયુરપ્પાએ આ સરકારને ઉથલાવી નાખવા માટે જેડીએસના ધારાસભ્ય નાગન ગૌંડના પુત્ર શરનગૌંડાને પૈસા અને મંત્રી બનાવવાની લાલચ આપીને તેમને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. શરનગૌંડાએ યેદિયુરપ્પા સાથે થયેલી ટેલિફોનિક વાતચીતને રેકોર્ડ કરી લીધી હતી. યેદિયુરપ્પા તે વખતે કર્ણાટક ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદે બિરાજમાન હતા. તત્કાલિન સીએમ કુમારસ્વામીએ આ ઘટનાનો ઓડિયો બહાર પાડ્યો હતો જે વાયરલ થયો હતો.
કોંગ્રેસે યેદિની સામે ફરિયાદ દાખલ કરાવી હતી
કોંગ્રેસે આ કેસમાં જ્યુડિશિયલ તપાસની માગ કરીને યેદિયુરપ્પા તથા ભાજપના બે ધારાસભ્યો શિવનગૌંડા નાયક અને પ્રીથમ ગોંડાની સામે ફરિયાદ દાખલ કરાવી હતી. યેદિયુરપ્પા અને આ બે ધારાસભ્યો સર્કિટ હાઉસમાં હાજર હતા તે વખતે યેદિયુરપ્પાએ શરનગૌંડાને જેડીએસ છોડીને ભાજપમાં સામેલ થઈ જવાની લાલચ આપી હતી બદલમાં તેમને રુપિયા અને ભાજપ સરકારમાં મંત્રી પદની ઓફર કરી હતી. 2018 માં કોંગ્રેસ અને જેડીએસે ભેગા મળીને રાજ્યમાં સરકાર બનાવી હતી. 2019 માં સામાન્ય ચૂંટણી બાદ કોંગ્રેસ-જેડીએસના કેટલાક ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં સામેલ થતા સીએમ યેદિયુરપ્પાની આગેવાનીમાં ભાજપ સરકાર સત્તા પર આવી હતી. એક બાજુ કોંગ્રેસ-જેડીએસનો આરોપ છે કે ભાજપે ઓપરેશન કમળ હેઠળ તેમની સરકારને ઉથલાવી પાડવાનો કારસો રચ્યો હતો. જોકે યેદિયુરપ્પાએ આ આક્ષેપને નકારી કાઢીને વિપક્ષ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો.