પ્રયાગરાજમાં ઉમેદવારી પત્ર ભરવા જઈ રહેલા યોગી કેબિનેટના વરિષ્ઠ મંત્રી સિદ્ધાર્થ સિંહ પર બ્લેડ વડે હુમલો કરવાની કોશિશ થઈ છે.
યોગી સરકારના મંત્રી પર મોટો હુમલો
ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા જતી વખતે થયો હુમલો
સુરક્ષા જવાનોએ પકડી પાડ્યો
હાલમાં ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રયાગરાજમાં ઉમેદવારી પત્ર ભરવા જઈ રહેલા યોગી કેબિનેટના વરિષ્ઠ મંત્રી સિદ્ધાર્થ સિંહ પર બ્લેડ વડે હુમલો કરવાની કોશિશ થઈ છે. મંત્રી સિદ્ધાર્થનાથ સિંહની સુરક્ષામાં તૈનાત રહેલા જવાનોની તત્પરતાના કારણે હુમલાખોરને પકડી પાડવામાં આવ્યો છે. અને તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે. પોલીસ આરોપી યુવક સાથે પૂછપરછ કરી રહી છે. સિદ્ધાર્થનાથ સિંહ પર બ્લેડ વડે હુમલો ત્યારે કરવામાં આવ્યો, જ્યારે તેઓ મુંડેરાના ચૂંટણી કાર્યાલયમાં ઉમેદવારી પત્ર ભરવા જતાં હતા. આ ઘટના પ્રયાગરાજના ધૂમનગંજ વિસ્તારની છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોની સાથે સાથે પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ઉમેદવારી પત્ર ભરતા પહેલા મંદિરમાં ગયા હતા મંત્રી
સિદ્ધાર્થનાથ સિંહે ગુરૂવારે પ્રયાગરાજની પશ્ચિમી વિધાનસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા મંદિર શિરડી ધામ પહોંચીને પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન તેમની સાથે તેમના પત્ની અને દિકરો પણ હાજર રહ્યા હતા. આ બાબતે તેમણે કહ્યું હતું કે, તેઓ છેલ્લા 37 વર્ષથી શિરડી ધામ જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, સાંઈબાબાએ જ મને રસ્તો બતાવ્યો છે. 2017માં પણ સાંઈબાબાના આશીર્વાદથી ચૂંટણી જીત્યો હતો.
અતીક અહેમદનો ગઢ છે આ વિસ્તાર
આપને જણાવી દઈએ કે, પ્રયાગરાજ પશ્ચિમી વિધાનસભા વિસ્તાર માફિયા અતીક અહેમદનો ગઢ રહ્યો છે. આ સીટને અતીક અહેમદના નામથી ઓળખવામાં આવે છે. નામાંકન ભરતા પહેલા યોગીના મંત્રીએ કહ્યું હતું કે, તેમણે પાંચ વર્ષ સુધી જનતાની સેવા કરી છે અને આગળ પણ આવું જ કરવા માગે છે. સિદ્ધાર્થ નાથ સિંહે કહ્યું કે, આ વિધાનસભા સીટ પર તેમની લડાઈ કોઈની સાથે નથી. કારણ કે, અહીં સત્તા વિરોધી લહેર જેવી કોઈ વાત જ નથી. સાથે જ તેમણે કહ્યું કે, માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાથી લોકોમાં સુરક્ષાની ભાવના વધી છે.