દેશભરમાં કોરોના સંકટે કહેર વધાર્યા બાદ મ્યુકોર્માઇકોસિસે પણ ચિંતા વધારી છે. ગુજરાતમાં સ્થિતિ વણસી છે ત્યારે હવે સુરતમાં નવા રોગે દસ્તક આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુરતમાં મ્યુકરમાઇકોસીસ જેવો નવો રોગ
એસ્પરઝિલસનો પ્રથમ કેસ નોંધાયો
આંખ અને જડબાને થાય છે અસર
મળતી જાણકારી પ્રમાણે, ગુજરાતમાં મ્યુકોર્માઇકોસિસ બાદ એસ્પરઝિલસ નામની ફુગને લીધે ચિંતા વધી છે અને જેનો પ્રથમ કેસ સુરતમાં નોંધાયો છે. આ રોગ પોસ્ટ કોવિડ ઈન્ફેક્શન ગણવામાં આવે છે.
મ્યુકોર્માઇકોસિસ જેટલો ગંભીર રોગ નથી
આ રોગને પગલે દર્દીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યા દર્દીની સારવાર શરૂ કરવામાં આવી હતી. તબીબોના મતે એસ્પરઝિલસ રોગ મ્યુકોર્માઇકોસિસ જેટલો ગંભીર નથી. આ સાથે જ સામાન્ય સારવારથી દર્દી સાજો થઈ શકે છે.
ટેબ્લેટ દ્વારા દર્દી થઈ શકે છે સાજો
જો કે તબીબોના જણાવ્યા અનુસાર આવા રોગની સારવાર મોટાભાગે ટેબ્લેટથી જ થઈ જતી હોય છે. અલબત, આ ટેબ્લેટ પણ મોંઘીદાટ આવે છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3,085 નવા કેસ નોંધાયા છે, તો 36 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 36 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9701 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 10,007 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,32,748 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 594 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 55,548 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,60,50,096 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,60,50,096 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,19,913 લોકોને વેક્સિન આપવામાં આવી છે.