રાજસ્થાનમાં બનનારા બે ડેમનો મામલો ગરમાયો છે. ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે આવેદનપત્ર આપ્યું છે. રાજસ્થાનમાં ડેમ બનવાની યોજનાનો તેમણે વિરોધ કર્યો છે. અશ્વિન કોટવાલે કહ્યું આદિવાસી સંસ્કૃતિને આનાથી નુકસાન થશે.
રાજસ્થાનમાં બનનારા ડેમનો અશ્વિન કોટવાલે કર્યો વિરોધ
રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે ગુજરાત રાજસ્થાન સરહદ પર 2 ડેમ બનાવવાનો નિર્ણય લીધો છે. અશોક ગેહલોતે રાજસ્થાનના બજેટમાં સાબરમતી નદી અને સહી નદી પર ડેમ બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. જેનો ગુજરાતની સાથે રાજસ્થાનમાં પણ વિરોધ શરૂ થયો છે. રાજસ્થાનમાં રાજસ્થાનમાં ગ્રામ પંચાયતથી લઇને તાલુકા કક્ષાએ વિરોધ થઈ રહ્યો છે. આજે ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે જેને લઈ આવેદનપત્ર પાઠવ્યું છે અને તેમણે જણાવ્યું કે, આદિવાસી સંસ્કૃતિને આનાથી નુકસાન થશે. રાજસ્થાનમાં ડેમ બનવાનો સરહદી વિસ્તારમાં પણ વિરોધ થઈ રહ્યો છે. જો ડેમ બને તો ધરોઈ ડેમને મળતા પાણીને અસર થઈ શકે છે. અશ્વિન કોટવાલે કહ્યું અનેક આદિવાસીઓ વિસ્થાપિત થશે.
અશ્વિન કોટવાલે રાજસ્થાન સરકાર પર કર્યો પ્રહાર
તેમણે જણાવ્યું કે, યોજના બની ત્યારે રાજસ્થાન સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થયેલા છે કે, 300 કિમી સુધી કોઈએ બંધ બાંધવો નહી ત્યારે આજે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે કરારનો ભંગ કર્યો છે. તેમણે કહ્યું કે, આ થવાથી ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થશે, જ્યાં જ્યાં પીવાની વ્યવસ્થા ધરોઈ ડેમમાંથી થાય છે તેનુ પાણી ખૂટશે અને અછત ઉભી થશે. તેમણે ઉમેર્યું કે, હું રાજસ્થાનની કોંગ્રેસ સરકારને કહેવા માગું છું કે આનાથી ફક્ત ગુજરાતને નુકસાન નહી થાય પરંતુ જે જગ્યા બંધ બાંધવાના જે તે જગ્યાએ આદિવાસીઓ પણ નુકસાન થશે અને આદિવાસીઓ વિસ્થાપિત થશે.તેમણે કહ્યું કે, રાજસ્થાન સરકારે ગુજરાત અને આદિવાસીઓ સાથે મશ્કરી કરી હોય તેવું લાગે છે.
ડેમ બનાવવા બજેટમાં કરાઈ જોગવાઈ
સમગ્ર ઉત્તર ગુજરાત માટે ધરોઈ યોજના એકમાત્ર જીવા દોરી સમાન યોજના છે. જોકે, રાજસ્થાન સરકાર દ્વારા 2558 કરોડના ખર્ચે સાબરમતી તેમજ સહી નદી ઉપર ચકસારમાઢિયા અને બુજા જળાશય યોજના બનાવવા બજેટમાં જોગવાઈ કરાતા હવે ગુજરાત સહિત રાજસ્થાનમાં ભારે વિરોધ શરૂ થયો છે. સ્થાનિકોએ ડેમ રોકવા માટે કોઈપણ હદ સુધી લડી લેવાની તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજસ્થાન સહિત ગુજરાતમાં વિરોધ
1972માં સાબરકાંઠાના વડાલી નજીક ધરોઈ જળાશય યોજના બનાવવામાં આવી તેમજ ધરોઈ જળાશય યોજનાના પગલે ઉત્તર ગુજરાતના નવ મોટા શહેર સહિત 700થી વધારે ગામડાઓ માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની સુવિધા ઉભી કરાઈ હતી. સાથોસાથ સમગ્ર ઉત્તર ગુજરાત માટે આ યોજના સિંચાઈ તેમજ પીવાના પાણી માટે એકમાત્ર આશાસ્પદ પાણીનો સ્ત્રોત બની રહેલ છે. જોકે, રાજસ્થાન સરકાર દ્વારા ધરોઈ જળાશય યોજનાની મુખ્ય બે નદી ઉપર ચકસારમાઢીયા તેમજ બુજા ડેમ બનાવનો નિર્ણયથી હવે આગામી સમયમાં ધરોઈ જળાશય યોજના નામ માત્રની બની રહે તેવી સંભાવનાઓ છે. જોકે, રાજસ્થાનમાં સ્થાનિક ગ્રામ પંચાયતો સહિત તાલુકા કક્ષાએ ભારે વિરોધ શરૂ થયો છે. સ્થાનિકોનું માનીએ તો મળતે દમ તક જગ્યા ખાલી ન કરવા સહિત કોઈ પણ ભોગે ડેમ ન બનાવવા લોકો મક્કમ બન્યા છે.