ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઔદ્યોગિક શહેરો અને દરિયાકાંઠના વિસ્તારોમાં વકરેલી ગુંડાગીરીને લઇને ભાજપ સરકારની કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડિયાએ આકરી ઝાટકણી કાઢી છે.
ભાજપ સરકાર પર કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડિયાના આરોપ
મોઢવાડિયાએ પત્ર લખીને કહ્યું હતું કે, ભાજપના રાજ્યશ્રય અને ચોક્કસ પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓની સાંઠગાંઠથી સોપારી આપીને હત્યા કરાવનારા જયેશ રાણપરીયા ઉર્ફે જયલાના નેટવર્કને તોડવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.
આ સાથે જ મોઢવાડિયાએ એવા આક્ષેપ પણ કર્યા હતા કે, ગુજરાતમાં માસ્ક ન પહેરાનારા સામાન્ય નાગરિકો પોલીસ કે અધિકારીઓ સામે રકજક કરે તો પાસાના ગુના હેઠળ તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જ્યારે જયલાએ પોતાની રાજકીય લાગવગ અને મળતીયાઓ મારફતે 150 કરોડથી વધારેની કિંમતની જમીનોના ખોટા દસ્તાવેજો બનાવી લીધા છે.
સરકાર કાર્યવાહી કરવાને બદલે નતમસ્તક બનીને ઉભી
તો એક બિલ્ડરની હત્યાના પ્રયાસની ઘટના પણ થોડા દિવસ પહેલા જ બની છે. પોલીસ, વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર જયલાનું નામ જાણે છે પરંતુ આવા તત્વો સામે કાર્યવાહી કરવાને બદલે નતમસ્તક બનીને ઉભી છે.
ભાજપ સરકારના 25 વર્ષના શાસન પર આરોપ
તો ભાજપ સરકારના 25 વર્ષના શાસન પર આરોપ મુકતા મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ સરકારના અત્યાર સુધીના કાર્યકાળમાં જિલ્લે-જિલ્લે ગુંડાઓ અને માફિયાઓ ઉભા થયા છે.
તાત્કાલિક અસરથી ધરપકડ કરવા માટેની કરી માગણી
આપને જણાવી દઇએ કે, કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડિયાએ જયલા સાથે સંકળાયેલા માફીયા નેટવર્ક અને તેના રાજકીય આકાઓ સામે ગુજસીટોક એક્ટ લગાડીને તાત્કાલિક અસરથી ધરપકડ કરવા માટેની માગણી કરી છે.