રાજ્ય શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની 3300 વિદ્યા સહાયકોની નવી ભરતી આગામી 26 જાન્યુઆરીએ જાહેરાત કરાશે. તેમણે જણાવ્યું છે કે, ભારત સરકારના the Rights Of Persons With Disabilities Act, 2016ની જોગવાઈઓનું અનુસરણ કરતાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકોની ભરતી સંદર્ભે દિવ્યાંગ કેટેગરીમાં 3 ટકા અનામતમાં વધારો કરી 4 ટકા અનામત કરવા બાબતે તા. 18/01/2022ના રોજ ઉક્ત ફેરફારને અસર કરતો ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્ય સરકારે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 3300 વિદ્યા સહાયકોની ભરતી સંદર્ભે વર્તમાનપત્રોમાં આગામી તા. 26/01/2022ના રોજ જાહેરાત આપી ભરતી કાર્યવાહી શરૂ કરવા નિર્ણય કર્યો છે.
3300 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
જેમાં ધો.1 થી 8ની વધુની કુલ 1405 જગ્યા અને ધો.1થી 8ની સામાન્ય કુલ 1895 જગ્યા એમ કુલ 3300 જગ્યા ભરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 ફેબ્રુઆરી માસમાં ભરતી થયેલ વિદ્યા સહાયકોને 25 ફેબ્રુઆરીના રોજ 3 વર્ષ પુરા થયા છે ત્યારે સરકાર દ્વારા સમયસર જાહેરાત આપવાથી નીચા મેરીટવાળા ઉમેદવારોને કે જેઓ અત્યારે નોકરીમાં નથી તેવા ઉમેદવારોને ફાયદો થશે.
વિદ્યા સહાયકોની ભરતીનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે
જીતુ વાઘાણીએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને વિદ્યા સહાયકની ભરતીને લઇને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે અલગ અલગ વિભાગો દ્વારા યુવાનોની ભરતી થાય તે માટે સૂચનાઓ આપી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ અગાઉ વિદ્યા સહાયક અંગેની વાત કરવામાં આવી હતી. દિવ્યાંગ માટે 3 ટકાને બદલે 4 ટકા કરવાની વહીવટી પ્રોસેસ પૂર્ણ થઈ છે, ત્યારે હવે આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે. જેમાં 1થી 5માં 1300 વિદ્યાસહાયકોની ભરતી થશે અને 6થી 8માં 2000 શિક્ષકની ભરતી થશે. ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાશે. જેનો ટેટના ઉમેદવારોને લાભ મળશે.