જો કૃષિ કાયદાઓ પાછા ખેંચવામાં આવે તો આગામી 50 વર્ષ સુધી કોઈ પણ સરકાર કૃષિ કાયદાઓને ફરી છંછેડવાની હિંમત કરી શકશે નહીં અને ખેડૂત મરતો રહેશે. સુપ્રીમ કોર્ટ દ્વારા કૃષિ કાયદા અંગે રચાયેલી સમિતિના સભ્ય અનિલ ઘનવતે આ મોટું નિવેદન આપ્યું છે. આજે મળેલી સમિતિની પ્રથમ બેઠકમાં 21 જાન્યુઆરીથી ખેડૂતો સાથે વાતચીત શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કમિટીની મંગળવારે પહેલી બેઠક થઇ. 4 સભ્યોની કમિટીમાં એક સભ્યએ પોતાનું નામ પરત લઇ લીધું હતું, જેના કારણે બાકીના ત્રણ સભ્ય બેઠકમાં હાજર રહ્યાં. કમિટીના સભ્ય અને ખેડૂત નેતા અનિલ ધનવતે બેઠક પછી મોટુ નિવેદન આપ્યું.
ધનવતે કહ્યું કે છેલ્લા 70 વર્ષોથી ખેડૂતોની પરિસ્થિતિમાં કોઇ સુધાર આવ્યો નથી એ બધા માને છે અને એટલા માટે કાયદામાં ફેરફારની જરૂરિયાત છે. ધનવતે કહ્યું કે તેઓ પણ કાયદાઓને સંપૂર્ણ રીતે માનતા નથી, પરંતુ ખેડૂતોને પોતાની ફરિયાદ કમિટીની સામે રાખવી જોઇએ.
અનિલ ધનવતે કહ્યું, આ તો નક્કી છે કે અત્યાર સુધી ખેડૂતોને લઇને જે નીતિઓ અને કાયદાઓ બન્યા છે, તે માન્ય નથી કારણ કે જો એવું થાય તો 4.5 લાખ ખેડૂત આત્મહત્યા ન કરતા હોત. કેટલાંક ફેરફારની જરૂરિયાત છે. જો આ કાયદાઓ પરત થાય છે તો આવનારા 50 વર્ષ સુધી કોઇપણ સરકાર અથવા પાર્ટી આવું કરવાની હિંમત અને ધૈર્ય દેખાડી નહી શકે અને ખેડૂત મરતા રહેશે.
આજની બેઠકમાં કમિટીમાં ત્રણ સભ્ય અશોક ગુલાટી, પ્રમોદ જોશી અને અનિલ ધનવત હાજર હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે 21 જાન્યુઆરીથી કમિટી ખેડૂતો સાથે વાતચીત શરુ કરી દેશે. ખેડૂતો સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકાર સહિત બધા સ્ટોકહોલ્ડર્સ સાથે વાત કરવામાં આવશે.
કમિટિએ સ્પષ્ટ કર્યું હતું કે, દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતોને પણ વાત કરવા આમંત્રણ આપવામાં આવશે. સભ્યોએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ નિશ્ચિતપણે વાતચીત માટે આવે.
આંદોલન કરી રહેલા ખેડૂત પ્રતિનિધિઓએ કમિટિનો વિરોધ કર્યો છે અને તેની સભાઓમાં ભાગ ન લેવાનું એલાન કર્યું છે. આવી સ્થિતિમાં સૂત્રોનું કહેવું છે કે જો વિરોધી ખેડુતો મંત્રણા માટે સમિતિ સમક્ષ ન આવે તો સમિતિના સભ્યો સિંઘુ બોર્ડર પર જવાનું વિચારી શકે છે. જો કે, તે પછીથી નિર્ણય લેવામાં આવશે.