બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કાર ચાલકે શ્રમજીવી પરિવારની બાળકીને અડફેટે લેતા બાળકીનું મોત નીપજ્યું છે. શ્રમજીવી પરિવારની બાળકીનું મોત નીપજતા કારચાલક સામે કડક કાર્યવાહી કરવાની લોકોએ માંગ કરી છે.
પાલનપુરમાં કારની અડફેટે બાળકીનું મૃત્યુ
શ્રમજીવી પરિવારની બાળકીનું કાર અકસ્માતે મૃત્યુ
એરોમા સર્કલ નજીક ઉભેલી બાળકીને કારે લીધી અડફેટે
પાલનપુર પશ્ચિમ પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી હાથધરી
ગુજરાતમાંથી અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ઘણીવાર અકસ્માતમાં કેટલાક માસુમ અને નિર્દોષ લોકો પણ મોતને ભેટતા હોય છે. હાલ બનાસકાંઠા જિલ્લામાંથી આવો જ બનાવ સામે આવ્યો છે, જેમાં એક કાર ચાલકે શ્રમજીવી પરિવારની માસુમ બાળકીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે.
કારની અડફેટે બાળકીનું મૃત્યુ
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના એરોમા સર્કલ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અરોમા સર્કલ પાસે માસુમ બાળકી પર કારના ટાયર ફરી વળતા તેનું બનાવસ્થળે જ મોત નીપજ્યું હતું. જે બાદ અકસ્માત સ્થળે સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી.
પોલીસે કાર ચાલક તબીબ સામે કાર્યવાહી હાથધરી
પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ચાલક તબીબ મિલન મોદી હોવાનું સામે આવ્યું છે. હાલ શ્રમજીવી પરિવારની ફરિયાદના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસે તબીબ મિલન મોદી સામે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.