અમરેલીના સાવરકુંડલામાં આવેલ ત્રિવેણી ચેકડેમમાં ગાબડું પડતાં લાખ્ખો લિટર પાણીનો બગાડ થઇ રહ્યો છે.
અમરેલીના સાવરકુંડલાના ત્રિવેણી ચેકડેમમાં ગાબડું
મસમોટું ગાબડું પડી જતા લાખો લીટર પાણીનો વેડફાટ
તંત્રના આંખ આડા કાનથી ખેડૂતોમાં રોષ
ચોમાસાના પ્રારંભે જ ખબકેલા વરસાદથી અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા જાબાળ વચ્ચેના ત્રિવેણી ચેકડેમમાં ગાબડું પડયું છે. ચેકડેમમાં ગાબડું પડતાં લાખો લીટર પાણીનો વેફફાટ થઈ રહ્યો છે. છતાં નીંભર તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના રિનોવેશન માટે રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ રિપેરિંગના નામે ગયા ન હોવાથી મોંઘામુલા પાણીનો દુર્વ્યય થઇ રહ્યો છે. બીજી તરફ સરકારના જળ સંચયના પ્રયાસો સામે અમરેલી જિલ્લા તંત્ર પાણી ફેરવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
શરુઆતના વરસાદથી જ ચેકડેમમાં ગાબડું પડતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
અમરેલી પંથકમાં ભારે વરસાદને પગલે ત્રિવેણી ચેકડેમ ઓવરફ્લો થયો હતો. ત્રિવેણી ડેમનું પાણી જાબાળ, બાઢડા, શાંતિનગર સહિતના 6 થી 7 ગામો માટે આશીર્વાદ સમાન છે. પરંતુ ચેકડેમ ઉપરથી 2 3 ફૂટ પાણી વહેતુ હતું પણ તંત્રની લાપરવાહીને કારણે ત્રિવેણી ડેમમાં ઓગનની બાજુમાં જ ગાબડું પડી ગયું હતું. જેને લઇને ખેડૂતોના ઉનાળુ, શિયાળુ પાક સામે સવાલો ઉભા થયા છે, એટલું જ નહી અજુબાજુના ડેમ કાંઠાના ખેડૂતોનો માર્ગ પણ બંધ થઈ ગયો છે ને ડેમમાં જીવના જોખમે સામે કાંઠે ખેડૂતોને જવાની મજબૂરી છે. આ અંગે અધિકારીઓ નિરીક્ષણ કરીને જતા રહે છે પણ નક્કર કામગીરી કરીને ફરી ડેમનું રીનોવેશન કરે તો પાણીનો સંગ્રહ થઈ શકે તેમ છે. તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
જળ સંચયની કામગીરીમાં અમરેલી તંત્ર લાપરવાહ
નોંધનિય છે કે, અમરેલી જિલ્લાના 112 જેટલા ચેકડેમોમાં રીનોવેશનના અભાવે વરસાદી પાણી ટકે તેવી સ્થિતિમાં નથી. જ્યારે સરકાર દ્વારા પોણા પાંચ કરોડ ડેમના રીનોવેશન માટે ફાળવી દીધા છે અને હાલ સરકાર જળ સંચયમાં વ્યસ્ત છે પણ અમરેલીનું તંત્ર સરકારની જળ સંચયની બચાવવાની કામગીરી પ્રત્યે લાપરવાહી કરતું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ત્યારે ગ્રામજનોની અને સરપંચ જલ્દીમાં જલ્દી આ ડેમનું રીનોવેશન કરાવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.