કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વિગતો મુજબ 30 જૂને અમિત શાહ અમદાવાદ આવશે. તાજેતરમાં જ અમિત શાહ ગુજરાત આવ્યા હતા. જે બાદમાં ફરી એકવાર અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. અમિત શાહ અમદાવાદમાં રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે તો 1 જુલાઇએ કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિ.નું લોકાર્પણ કરશે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત
રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આ તરફ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 30 જૂને ગુજરાત આવી રહ્યા છે. તેમના કાર્યક્રમની વાત કરીએ તો અમિત શાહ 30 જૂને રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે. તો વળી 1 જુલાઇના રોજ કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિ.નું લોકાર્પણ કરશે.
કલોલમાં વિશ્વ મંગળ ગુરુકુળમાં હોસ્પિટલનું ખાત મુહુર્ત કરશે
અમિત શાહ 1 જુલાઇએ કલોલમાં આવેલ વિશ્વ મંગળ ગુરુકુળના કાર્યક્રમમાં હાજરી આપશે. 350 કરોડના ખર્ચે આકાર પામનારી પ્રેમ સ્વરૂપ સ્વામી સુપર મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલનું તેઓ ખાત મુહુર્ત કરશે. આ ઉપરાંત સ્વામિનારાયણ યુનિવર્સીટીના લોકાર્પણમાં પણ ભાગ લેશે.
દરવર્ષે રથયાત્રામાં જોડાય છે અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરે છે. આ સાથે મંગળા આરતીમાં પણ પરિવાર સાથે હાજર રહે છે. જોકે આ વર્ષે પણ તેઓ આગામી 30 જૂનના રોજ અમદાવાદ આવી રહ્યા છે. જ્યાં તેઓ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરી મંગળા આરતીમાં જોડાશે.
12 જૂને અમિત શાહે ગુજરાતમાં વિવિધ લોકાર્પણ કર્યા હતા
અમિત શાહે 12 જૂને ગાંધીનગર મનપા અને ગુડાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. ગાંધીનગર મનપા નિર્મિત 193.12 કરોડના પ્રોજેક્ટનું અમિત શાહે ખાતમુહૂર્ત કર્યું હતું. તો ગાંધીનગર શહેરમાં 3 બગીચાઓનું પણ લોકાર્પણ કર્યું. ગુડા નિર્મિત રૂ.81.44 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. 134 આવાસોનો અમિત શાહના હસ્તે ડ્રો કરવામાં આવ્યો હતો.