'રાહુલ ગાંધી ગરમીની રજાઓ માટે વિદેશ જાય છે અને વિદેશમાં દેશની નિંદા કરે છે' ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર સાધ્યું નિશાન.
અમિત શાહ ગુજરાત સિદ્ધપુરનાં પ્રવાસે
રાહુલ ગાંધીની વિદેશયાત્રાને લઈને કર્યો પ્રહાર
કહ્યું વિદેશમાં જઈને દેશની નિંદા ન કરવી જોઈએ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં અમેરિકાનાં પ્રવાસે ગયાં હતાં. ત્યાં તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે મોદી ભગવાનને પણ જણાવી શકે છે તે તેમને શું કરવું જોઈએ. તેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કરતાં કહ્યું કે વિદેશમાં જઈને પોતાના દેશને નીચું દેખાડવું એ કોઈપણ નેતાને શોભા નથી દેતું. તેઓ ભારતનું અપમાન કરવાનો એક મોકો નથી છોડતાં. દરેક વિદેશ યાત્રામાં તે વારંવાર એકની એક ભૂલ કર્યા કરે છે.
રાહુલ ગાંધીની વિદેશયાત્રાને લઈને કરી ટીકા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પાટણ જિલ્લાનાં સિદ્ધપુરમાં મોદી સરકારનાં 9 વર્ષ પૂર્ણ થયાનાં અવસરે રેલી કાર્યક્રમમાં જોડાયા હતાં. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી અને તેમની વિદેશ યાત્રાને લઈને પ્રહાર કર્યાં હતાં. રાહુલે વિદેશ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી. ત્યારે શાહે કહ્યું કે કોઈપણ દેશભક્ત વ્યક્તિએ ભારતની અંદર ચાલી રહેલી દેશની રાજનીતિની ચર્ચા વિદેશમાં જઈને ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે આ વાત રાહુલ બાબાએ યાદ રાખવી જોઈએ.
વિદેશમાં દેશની નિંદા કરે છે
અમિત શાહે કહ્યું કે મોદી સરકારનાં 9 વર્ષ પૂર્ણ થયા પર દેશમાં અનેક ફેરફારો જોવા મળ્યાં છે પરંતુ કોંગ્રેસે ભારત વિરોધી વાતો કરવાનું બંધ કર્યું નથી. રાહુલ બાબા ગરમીનાં લીધે વિદેશમાં રજા પર જાય છે. અને વિદેશમાં દેશની નિંદા કરે છે.