અમદાવાદમાં શહેરના 2017માં રોડ તૂટવાનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો અને હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કમિશનરે આખરે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 39 આસી.એન્જીનીયર સામે કરી કાર્યવાહી કરવામાં આવી છે અને 90 અધિકારીઓને આ મુદ્દે નોટીસ ફટકારવામાં આવી છે.
હાઇકોર્ટના આદેશ બાદ 90 અધિકારીને નોટિસ
રોડ મામલે 2 વર્ષથી ચાલતી ઈન્કવાયરી
એન્જીનિયરોને રૂ 15 હજાર થી 50 હજારનો દંડ
અમદાવાદમાં શહેરમાં તુટેલા રોડ રસ્તાને મામલે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તાકીદે પગલા લેવાના આદેશ કર્યા હતા અને રોડની આવી બિસ્માર હાલત માટે જવાબદાર સામે પગલા લેવાનો પણ હૂકમ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે મનપા દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે.
મનપાએ શુ લીધી એક્શન
મનપા દ્વારા તુટેલા રોડ મામલે હાઇકોર્ટના આદેશ બાદ 90 અધિકારીને નોટિસ આપવામાં આવી છે. ક્વોલિટી કામ ન કરતા વિજિલન્સ તપાસ ચાલતી હતી. રોડ મામલે 2 વર્ષથી આ ઈન્કવાયરી ચાલતી હતી. તપાસને અંતે દોષિત તમામ એન્જીનિયરોને રૂ 15 હજાર થી 50 હજારનો દંડ ફટકરવામાં આવ્યો છે.
સામાન્ય વરસાદમાં રૂ.450 કરોડના ખર્ચે બનેલા 190 કિ.મી. રસ્તા ધોવાયા હતા
વર્ષ 2017ના ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં રૂ.450 કરોડના ખર્ચે બનેલા 190 કિ.મી. રસ્તા ધોવાયા હતા. વર્ષ 2015થી વર્ષ 2017 વચ્ચે થયેલા મોટા ભાગના નવા રસ્તા તૂટી જતાં શહેરજનો અભૂતપૂર્વ હાલાકીમાં મુકાયા હતા. અમદાવાદના બિસ્માર રસ્તાની હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લઇ તંત્રને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી કસૂરવારો સામે કડક હાથે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
ત્રણ કોન્ટ્રાકટરને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કર્યા હતા
હાઇકોર્ટના આદેશના પગલે તંત્રએ રોડની તપાસ હાથ ધરી હતી અને તેમાં વ્યાપક ડામરચોરી થઇ હોવાનું વિવિધ લેબ પરીક્ષણમાં બહાર આવ્યું હતું, જેના પગલે સત્તાવાળાઓએ ત્રણ કોન્ટ્રાકટરને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કર્યા હતા.