નવા સુપર સ્પ્રેડર્સને શોધવા દુકાનોમાં કવાયત, બીજી તરફ ભીડની ઉપેક્ષા થઈ રહી છે. રર દિવસમાં માત્ર એક દુકાન સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે જ્યારે માસ્ક ન પહેરવા-સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવા રોજની માત્ર ૧.પ૦ લાખની પેનલ્ટી વસૂલાઈ છે.
નવા સુપર સ્પ્રેડર્સને શોધવા દુકાનોમાં કવાયત, બીજી તરફ ભીડની ઉપેક્ષા
રર દિવસમાં માત્ર એક દુકાન સીલ
માસ્ક ન પહેરવા-સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવા રોજની માત્ર ૧.પ૦ લાખની પેનલ્ટી વસૂલાઈ
શહેરમાં કોરોનાના કેસ મ્યુનિ. તંત્રના ચોપડે ઘટયા જરૂર છે, પરંતુ કોરોના ગયો નથી અને જે પ્રકારે દરરોજ કોરોનાના ૧૬૦ કેસ અને બેથી ત્રણ મૃત્યુ નોંધાઇ રહ્યા છે તેને જોતાં હજુ કોરોના વિદાય લે તેમ લાગતું નથી. ખુદ મ્યુનિ. હેલ્થ વિભાગ પણ નાગરિકોમાં કોરોનાને લઇને હર્ડ ઇમ્યુનિટી વિકસી નથી તેવું વારંવાર કહે છે. આવા સંજોગોમાં નાગરિક જાહેર સ્થળોએ માસ્ક પહેરી રાખે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે. આ જ કોરોના પર કાબૂ મેળવવાનો એક માત્ર અસરકારક ઉપાય છે. કમનસીબે આજે પણ સેંકડો નાગરિકો જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગને તો જાણે ભૂલી જ ગયા હોય તેવી રીતે વર્તી રહ્યા છે.
કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈને લોકોનાં જીવન માટે જોખમી બની શકે
બીજી તરફ શહેરના ૬પ લાખ નાગરિકોના આરોગ્ય સુખાકારી સાથે સીધી રીતે સંકળાયેલા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ પણ નાગરિકોમાં કોરોનાની ગાઇડલાઇન પળાવવાના મામલે સાવે સાવ બેદરકારી દર્શાવી રહ્યા છે. તંત્રની આવી બેદરકારી કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈને લોકોનાં જીવન માટે જોખમી બની શકે છે.
૧,૮૬૩ લોકો કોરોનાથી મરણને શરણ થઇ ચૂકયા છે
અમદાવાદમાં કોરોનાના સત્તાવાર કેસનો આંકડો ૪૦,૦૦૦ને પાર કરી ચૂકયો છે. ગઇ કાલ સાંજની સ્થિતિએ શહેરમાં કોરોનાના કુલ ૪૦,પ૦૧ થયા છે. જ્યારે કોરોનાએ વધુ બે દર્દીનો ભોગ લેતાં અત્યાર સુધીમાં કુલ ૧,૮૬૩ લોકો કોરોનાથી મરણને શરણ થઇ ચૂકયા છે. અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને કુલ ૪૩,પપ૬ કેસ નોંધાયા હોઇ સમગ્ર રાજ્યમાં આજે પણ અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. આ બાબત ખરેખર અમદાવાદીઓ માટે ચિંતાજનક છે.
ગઇકાલથી જ નવા સુપર સ્પ્રેડર્સ શોધવાની કવાયત આરંભી
મ્યુનિ. સત્તાધીશોએ દિવાળીના તહેવારોમાં લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ગઇ કાલથી જ નવા સુપર સ્પ્રેડર્સ શોધવાની કવાયત આરંભી છે. આ કવાયત હેઠળ ફટાકડા, મીઠાઇ, ફરસાણ, જ્વેલર્સ, ડ્રાયફ્રૂટસની દુકાનમાં જઇને ધંધાર્થી તેમજ સ્ટાફના એન્ટીજન ટેસ્ટિંગ કરાઇ રહ્યા છે. દિવાળીના ઉત્સવ આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસ બાકી રહ્યા હોઇ તંત્ર કોઇ વેપારીનો ધંધો બંધ કરવાના મૂડમાં ન હોઇ આ બાબત ચોક્કસ આવકારદાયક છે.
સુપર સ્પ્રેડર્સ કેટેગરીના ગરીબો પર ત્રાટકીને સત્તાવાળાઓ મોટા ધંધાર્થીઓને છાવરતા રહ્યા
જોકે ગત તા.૧૪ ઓકટોબરથી તા.પ નવેમ્બર સુધી નાગરિકોમાં કોરોનાની ગાઇડ લાઇન પળાવવાના મામલે તો તંત્ર સાવ રેઢિયાળ પુરવાર થયું છે. અગાઉ પણ તંત્રે એક અથવા બીજા પ્રકારના ધંધાર્થીને કોરોનાના સુપર સ્પ્રેડર જાહેર કરીને તેમના માટે એસઓપી પણ જાહેર કરી હતી. જૂના સુપર સ્પ્રેડર્સના એન્ટીજન રેપિડ ટેસ્ટ, તેમની એસઓપી, તેમનાં હેલ્થ કાર્ડ વગેરે છેવટે તો ‘નાટક’ જ પુરવાર થયાં છે. પરંતુ તંત્રના હોટલ-રેસ્ટોરાં, મોલ, શોરૂમ અને ફૂડકોર્ટને ‘છૂપા આશીર્વાદ’ હોવાનું પણ આ સમયગાળામાં અનેકવાર પુરવાર થયું છે. સુપર સ્પ્રેડર્સ કેટેગરીના ગરીબો પર ત્રાટકીને સત્તાવાળાઓ મોટા ધંધાર્થીઓને છાવરતા રહ્યા છે.
તંત્રના સત્તાવાર આંકડા મુજબ ગત તા.૧૪ ઓકટોબરથી તા.પ નવેમ્બર સુધીમાં દિવાળીના તહેવારો નજીક આવતા ન હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સિંગના મામલે માત્ર એક એકમ સીલ કરાયું હતું. ઉત્તર ઝોનમાં એક પાનના ગલ્લાને તાળાં મારીને સોલિડ વેેસ્ટ મેનેજમેન્ટ વિભાગની જેટની ટીમ દ્વારા સંતોષ માની લેવાયો હતો.
સોલિડ વેેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડાએ શનિ-રવિની રજામાં તંત્ર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરનાર એકમને તાળાં મારશે તેવી જાહેરાત કરી હતી. જે એક માત્ર પાનના ગલ્લાને સીલ કરાયો હોઇ પોકળ પુરવાર થઇ છે.
દિવાળી સમીપ આવતાં તંત્ર કડકાઇ કરશે કે કેમ તે મોટો પ્રશ્ન
છેલ્લા ર૮ દિવસમાં સત્તાધીશોએ દરરોજ માત્ર રૂ.૧.પ૦ લાખની પેનલ્ટી કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ વસૂલી છે. કુલ ૩,૩૪૮ કેસથી રૂ.૩૩.૪૮ લાખની પેનલ્ટી વસૂલનાર તંત્રની ઉત્તર ઝોનમાં પેનલ્ટી વસૂલાતની કામગીરી ફકત રૂ.૩.૧૭ લાખ પેનલ્ટી વસૂલીને જોતાં તદ્દન નબળી પુરવાર થઇ છે. ફકત પશ્ચિમ ઝોનમાં રૂ.૬.૯ર લાખની સૌથી વધુ પેનલ્ટી વસૂલાઇ છે. પૂર્વ ઝોનમાં રૂ.૪.ર૩ લાખ, દિક્ષણ ઝોનમાં રૂ.૬.૮૩ લાખ, મધ્ય ઝોનમાં રૂ.૪.ર૯ લાખ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૪.રર લાખ અને દિક્ષણ-પશ્ચિમ ઝોનમાં રૂ.૩.૮ર લાખની પેનલ્ટી વસૂલાત જ તંત્રની કોરોના ગાઇડલાઇનની અમલવારીના મામલે ઘોર બેદરકારી દર્શાવી રહી છે. હવે દિવાળી સમીપ આવતાં તંત્ર કડકાઇ કરશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
જોકે કોરોના ગાઇડ લાઇનનો ભંગ તો નાગરિકો વિવિધ વસ્તુની ખરીદી કરવા ઊમટી રહ્યા હોઇ વધ્યો છે. હજુ પણ નાગરિકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ તંત્ર દિવાળી પહેલાંથી નિષ્ક્રિય બનીને બેઠું હોઇ સ્થિતિ ચિંતાજનક બની છે.