રાજ્ય સરકારે કોરોના વાયરસના કારણે નવરાત્રીમાં ગરબા આયોજનને મંજૂરી નથી આપી. શેરી ગરબા અને પાર્ટી પ્લોટ સહિત તમામ પ્રકારના ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવામાં નવરાત્રીના નવેય દિવસ અંબાજી મંદિરને ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ બે નોરતામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. જેને લઇને હવે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ થઇ શકે છે. ટુંક સમયમાં અંબાજી વહીવટી ટ્રસ્ટ આ અંગે નિર્ણય કરી શકે છે.
અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ થઈ શકે છે
કોરોના સંક્રમણની દહેશત વચ્ચે અંબાજીમાં લોકોની ભીડ
આવતીકાલે કલેકટર અને વહીવટદારો વચ્ચે થશે બેઠક
કોરોનાના કારણે ચૈત્રી નવરાત્રીમાં બંધ રાખવામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર આસો નવરાત્રીમાં નવેય દિવસ ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ હવે આવનારા દિવસોમાં આ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ થઇ શકે છે. કારણ કે આજે હજારોની ભીડ ઉમટી પડતા સામાજીક અંતર ન જળવાયું. કોરોના સંક્રમણની દહેશત વચ્ચે અંબાજીમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. આવતીકાલે કલેક્ટર અને વહીવટદારો વચ્ચે બેઠક યોજાશે. આ બેઠક બાદ નવરાત્રી દરમિયાન દર્શન પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
મહત્વનું છે કે, અંબાજી મંદિરમાં દર્શન માટે ગાઇડલાઇનનું પાલન કરવું ફરજિયાત છે, પરંતુ આ ગાઇડલાઇનનો ભંગ થતો જણાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે ચાચરચોકમાં નથી યોજાયા ગરબા
વિશ્વનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ધામે લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર પણ ગણાતું હોય છે. આ ધામમાં દરેક તહેવાર ધામધૂમથી યોજાતા હોય છે. ત્યારે નવરાત્રી દરમિયાન પણ માં અંબે ના ભક્તો હર્ષોલ્લાસ સાથે મા અંબાના ચાચરચોકમાં નવલા નોરતા દરમિયાન નવ દિવસ ગરબે રમી અને ધામધૂમથી નવરાત્રા ઉજવતા હોય છે ત્યારે આ વખતે જાણે સમગ્ર તહેવારો પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જે આખું વરસ રાહ જોયા બાદ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વખતે અંબાજી મંદિર ચાચરચોકમાં ગરબાનું આયોજન નથી કરવામાં આવ્યું.