ભાજપ દ્વારા ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે અલ્પેશ ઠાકોરે VTV ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે મારી ઇચ્છા રાધનપુર બેઠકથી ચૂંટણી લડવાની હતી.
ગાંધીનગર દક્ષિણ બેઠક માટે અલ્પેશ ઠાકોરનું નામ જાહેર કર્યું
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો દમદાર માહોલ જામ્યો છે. પ્રચાર-પ્રસાર અને જીતના દાવા થઇ રહ્યા છે. જીત માટે ઉમેદવારો મતદારોને રીઝવવા દિવસરાત એક કરીને મહેનતમાં લાગી ગયા છે. તેવામાં સત્તાધારી પક્ષ ભાજપે ગતરોજ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુ 12 ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે આ અંગે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરએ VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારી ઇચ્છા રાધનપુર બેઠકથી ચૂંટણી લડવાની હતી, પાર્ટીએ મારા માટે જે વિચાર્યું હશે તે યોગ્ય હશે.
VTVએ અલ્પેશ ઠાકોર સાથે કરી ખાસ વાતચીત
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરનું નામ જાહેર કરાયા બાદ તેમણે VTV ન્યૂઝ સાથે વાતચીત કરી. સૌથી પહેલા તો અલ્પેશ ઠાકોરે મોવડી મંડળનો આભાર માન્યો. જે બાદ તેઓએ જણાવ્યું કે, 'આ વિસ્તારના લોકોની સેવા માટે તેમના કામ કરવા મને જે જવાબદારી મળી છે તેને હું નિભાવીશ. પાર્ટી દ્વારા મારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. જેને સાર્થક કરવા હું પૂરેપૂરી મહેનત કરીશ.'
મને રાધનપુર બેઠકોથી ચુટણી લડવાની ઈચ્છા હતી: અલ્પેશ ઠાકોર
તેઓએ જણાવ્યું કે, 'મારી પસંદગી તો રાધનપુર જ હતી, પરંતુ પાર્ટી મોવડી મંડળે જે નિર્ણય કર્યો છે તેને હું સ્વીકારું છું. અમારે ત્યાં પાર્ટી નક્કી કરતી હોય છે, કાર્યકર્તા ઈચ્છા વ્યક્ત કરી શકે પરંતુ નિર્ણય પાર્ટીએ કરવાનો હોય છે, પાર્ટીએ જે કંઈ નિર્ણય કર્યો છે તેને સ્વીકારું છું અને આભાર માનું છે.'
"હવે ગાંધીનગર દક્ષિણનો પણ સર્વાંગી વિકાસ થશે"
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, આ વખતે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર પણ કમળ ખીલશે. હવે ગાંધીનગર દક્ષિણનો પણ સર્વાંગી વિકાસ થશે. રાધનપુરની જનતા પણ આ વખતે એક કમળ ગાંધીનગર મોકલશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે વધુ 12 નામો જાહેર કર્યા
નોંધનીય છે કે, ગતરોજ ભારતીય જનતા પાર્ટીએ વધુ 12 ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કલોલથી બકાજી ઠાકોર અને રાધનપુરથી લવિંગજી ઠાકોર તથા પાટણથી રાજુલ દેસાઇને ટિકિટ અપાઈ છે. અત્યાર સુધીમાં ભાજપ દ્વારા 178 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે માત્ર 4 બેઠક પરના ઉમેદવારોના નામનું એલાન કરવાનું બાકી રહ્યું છે. જેમાં માણસા, ખેરાલુ, રાવપુરા, માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે.