સુરતમાં વધુ એક વખત કસ્ટોડિયલ ડેથના આક્ષેપ પોલીસ પર લાગ્યા, મોબાઈલ ચોરીના આરોપના મોતને લઈ ચોકબજાર પોલીસ પર ઉઠ્યા સવાલ
સુરતમાં કસ્ટોડિયલ ડેથ થયું હોવાનો આરોપ
મોબાઈલ ચોરીના આરોપીનું જેલમાં મોત થયાના આરોપ
ચોકબજાર પોલીસ સ્ટેશનમાં મોત થયાના આરોપ
સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનના કર્મીઓ પર ગંભીર આરોપ લાગ્યો છે. જેમાં મોબાઈલ ચોરીના આરોપીનું પોલીસના મારથી મોત થયું હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. આરોપના મૃતદેહ પર બેરહેમી રીતે માર માર્યો હોવાના નિશાનની વાત પરિવાર કરી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે ગઈકાલ રાત્રે એક આરોપીની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. મોબાઈલ ચોરીમાં આરોપીની ધરપકડ કરાઈ હતી. જે બાદ આજે ઈજાગ્રસ્ત આરોપીને પોલીસ સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હોવાની માહિતી સામે આવી છે. અને તે પછી આરોપીને ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડાયો હતો. જ્યાં ખાનગી હોસ્પિટલમાં આરોપીને મૃત ઘોષિત કરતા પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે પોલીસના મારના કારણે આરોપીનું મૃત્યુ થવાનો આક્ષેપ પણ કર્યો છે.
2020-2021ના આંકડા પ્રમાણે પોલીસ કસ્ટડીમાં મોત
લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ દેશભરમાં સૌથી વધુ 17 લોકોના કસ્ટોડિયલ ડેથ ગુજરાતમાં થયા છે. જ્યારે બીજાક્રમે મધ્યપ્રદેશ-ઉત્તરપ્રદેશ અનુક્રમે આઠ મોત પોલીસ કસ્ટડીમાં થયા હતા. છેલ્લા ત્રણ વર્ષ 2018-19,2019-20 અને 2020-21 ગુજરાતમાં અનુક્રમે 13,12 અને ચાલુ વર્ષે 17 લોકો મળીને 42 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા છે.
લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના સંદર્ભમાં સરકારે રજૂ કર્યો જવાબ
લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે લેખિત જવાબ રજૂ કર્યો હતો. જેમાં છેલ્લા ત્રણ વર્ષના પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડીના આંકડા આપ્યા છે. કેન્દ્રએ આપેલા આંકડા અનુસાર છેલ્લા ત્રણ વર્ષ, 2018-19માં દેશમાં કુલ 136 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા. જેમાં પ્રથમ ક્રમે ગુજરાતમાં સૌથી વધુ 13, બીજા ક્રમે મધ્ય પ્રદેશ 12, ઉત્તરપ્રદેશ 12, મહારાષ્ટ્ર 11, તમિલનાડુ 11, દિલ્હી 8, રાજસ્થાન 8, કર્ણાટક 7, અને આસામ, બિહાર, પંજાબ, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં 5-5 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા.
જ્યારે અન્ય રાજ્યોમાં એકથી માંડીને ચાર આરોપીના મોત નિપજ્યા હતા. વર્ષ 2019-20માં દેશમાં કુલ 112 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યા હતા. જેમાં સૌથી વધુ મધ્ય પ્રદેશમાં 14, ગુજરાત-તામિલનાડુમાં 12, દિલ્હીમાં 9, પશ્ચિમ બંગાળમાં 7, ઓરિસ્સામાં 6, પંજાબમાં 6, બિહારમાં 5, અને અન્ય રાજયોમાં એકથી માંડીને ચાર વ્યકિતઓ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામી હતી.
વર્ષ 2020-21માં દેશમાં 100 લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા
વર્ષ 2020-21માં દેશમાં 100 લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા. જેમાં સૌથી વધુ ગુજરાતમાં 17, બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 13, ત્યારબાદ મધ્યપ્રદેશમાં 8, ઉત્તરપ્રદેશમાં 8, પશ્ચિમ બંગાળમાં 8. કર્ણાટકમાં 5, ઝારખંડમાં 5 અને બાકીના રાજ્યોમાં એકથી માંડીને ચાર વ્યક્તિના પોલીસ કસ્ટડીમાં મોતનો અહેવાલ લોકસભામાં રજૂ કર્યો હતો.