આજથી દેશભરમાં 28 અને 29 માર્ચે બેંકોની હડતાળ થશે. ઓલ ઇન્ડીયા બેંક એમ્પલોય એસો.ના નેજા હેઠળ આ હડતાળ યોજાશે. જેમાં બેંક કર્મચારીઓ કામથી અળગા રહીને વિરોધ નોંધાવશે. સરકારની જાહેર સાહસ વિરોધી નિતિ સામે હડતાળ કરવામાં આવશે. આ હડતાળમાં બધી રાષ્ટ્રીયકૃત બેંક, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ક્ષેત્રીય ગ્રામીણ બેંક, સંગઠિત સહકારી બેંક વગેરેનાં કર્મચારીઓ ભાગ લેશે.
મુખ્યમાંગ બેંકોનું ખાનગીકરણ બંધ કરો
8 પડતર માગણીઓ મુદ્દે બેંક કર્મીઓ હડતાળમાં જોડાશે. તેમજ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, સ્વતંત્ર ફેડરેશનના સભ્યો પણ હડતાળ કરશે. જાહેર ક્ષેત્રોને મજબુત બનાવવા, બેંકોનું ખાનગીકરણ અટકાવવા માંગ કરી છે. બેંક લોનની રીકવરી શરુ કરવા, થાપણના વ્યાજમાં વધારો કરવાની માગ છે. નવી પેન્શન યોજના રોકો - DA લિંક્ડ પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માગ કરી છે. આ ઉપરાંત આઉટ સોર્સીંગ બંધ કરી કાયમી ભરતી કરાવવાની માગ છે. અને આ સાથે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરવામાં આવી છે.
હડતાળની અસરો
તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે 2 દિવસની હડતાળ છે. આ હડતાળને પગલે બેંકમાં થતા કરોડોના ટ્રાન્જેક્શન ખોરવાશે. ગુજરાતની કુલ 3665 રાષ્ટ્રીયકૃત બેંક શાખાઓ હડતાળને કારણે બંધ રહેશે. કુલ 40 હજાર જેટલા બેંક કર્મચારીઓ હડતાળમા જોડાશે અને રાજ્યમાં કુલ 25 હજાર કરોડના વ્યવહારોને અસર થઇ શકે છે.
કેમ બિલનો વિરોધ?
છેલ્લા 4 વર્ષમાં સરકારે 14થી વધારે બેંકોનુ વિલીનીકરણ કરી નાખ્યું છે ત્યારે હવે બેન્કિંગ એમેડમેન્ટ લૉ સુધારા વિધેયકને જો મજૂરી મળી જાય તો કર્મચારીઑના દાવા પ્રમાણે ખાનગી માલિકના હાથમાં સત્તા જતી રહેશે આથી બેન્કના થાપણદારો તેમજ કર્મચારીઑને મોટું નુકસાન થવાની ભીતિ છે. જેથી કર્મચારીઓ અવનવા કારણો આગળ ધરી વિરોધના ભાગ રૂપે આજથી 28-29 માર્ચના રોજ રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.