વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષોની ગુજરાત પર નજર
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે
AIMIMના પ્રદેશ આગેવાનો સાથે કરશે બેઠક
લાગે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. કારણ કે રાજકીય પક્ષોના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. એક બાદ દિગ્ગજો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓની નજર ગુજરાત પર છે. આમ આદમી પાર્ટીના રોડ શો બાદ હવે AIMIM પણ મેદાને આવ્યુ છે. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે છે
ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાની-ઓવૈસી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે છે. તેઓ AIMIMના પ્રદેશ આગેવાનો સાથે બેઠક કરશે. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ મુદ્દે બેઠકમાં ચર્ચા કરાશે. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં AIMIM ઉમેદવારો પણ ઉતારશે. સાથે જ તેમણે નિવેદન આપતા જણાવ્યુ કે ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાની છે. આગળ પણ અમે આવતા રહીશુ અને કાર્યક્રમો યોજાતા રહેશે,.
ખંભાત અને હિંમતનગરની ઘટનાઓ મુદ્દે ઓવૈસીનું નિવેદન
ખંભાત અને હિંમતનગરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના અંગે ઓવૈસીએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે રાજ્યમાં ફેલાતી અશાંતિ પાછળ સરકાર જવાબદાર છે.
પીએમ મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે
તો આ તરફ પીએમ મોદી સહિત ભાજપના મંત્રીઓ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી 18થી 20 એપ્રિલ એમ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તારીખ 18 એપ્રિલે સાંજે PM મોદી અમદાવાદ પહોંચશે. ત્યાર બાદ રાજ્યમાં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં જોડાશે અને સભાઓ પણ સંબોધશે. દિયોદરમાં વડાપ્રધાન બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યાં મહિલા પશુપાલકોને સંબોધશે તો જામનગરમાં WHOના મદદથી બની રહેલા આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ ગાંધીનગરમાં આયુષ મંત્રાલયની 2 દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. તો બીજી તરફ દાહોદમાં આદિવાસી સંમેલનમાં પણ સંબોધન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જનતાને આકર્ષવા માટે ભાજપે મહાઅભિયાન શરુ કર્યુ છે.
15 એપ્રિલે મનસુખ માંડવિયા, સિંધિયા આવશે ગુજરાત
તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા 15એપ્રિલે કચ્છ આવશે. તેઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે. તેમજ ઔષધિ પર આધારિત દવાઓનું રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે. મહત્વનું છે કે આ રિસર્ચ સેન્ટર કેન્દ્ર સરકાર અને WHOના સહયોગથી સંચાલિત હશે. વિશ્વનું એક માત્ર ઔષધિ આધારિત દવા પરનું રિસર્ચ સેન્ટર હશે. આ કાર્યક્રમમાં WHOના DG અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજરી આપશે. તેમજ આયુષમંત્રી અને મંત્રાલયની સમગ્ર ટીમ પણ હાજર રહેશે. આ ઉપરાંત 16 એપ્રિલે કેન્દ્રીય મંત્રી નાગરિક અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાત પ્રવાસે છે.