મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી નવેમ્બર, ર૦ર૦માં યોજાનારી ચૂંટણી માટેનાં ચક્રો ગતિમાન થઇ ચૂકયાં છે. ગઇ કાલે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા શહેરનું નવું સીમાંકન જાહેર કરાયું હતું. નવા સીમાંકન મુજબ અમદાવાદના ૪૮ વોર્ડ અને ૧૯ર કોર્પોરેટરની સંખ્યા યથાવત્ રખાઇ છે.
બોપલ-ઘુમા સહિતના નવા વિસ્તારોને આસપાસના વોર્ડમાં ભેળવી દેવાતાં નવા એક પણ વોર્ડનું ગઠન કરાયું નથી. જોકે નવા સીમાંકનમાં જેને વોર્ડની પેનલની ચાર બેઠકની ફાળવણીમાં જે પ્રકારના ફેરફાર કરાયા છે તેના કારણે અત્યારના ૩૦ ટકા કોર્પોરેટરને કાંતો ઘરે બેસી જવું પડશે અથવા તો પેનલમાંના સાથી કોર્પોરેટરને ઘરે બેસાડીને તેમની બેઠક પરથી ચૂંટણી જંગમાં ઊતરવું પડશે.
નવા સીમાંકનથી ખાસ કરીને ભાજપમાં ચહેલપહેલ વધી ગઇ છે. મ્યુનિ. ભાજપની વર્તમાન ટીમની કામગીરી આમ પણ સંતોષજનક ન હતી. તેમાં પણ કોરોના મહામારી સામેના જંગમાં શાસકોએ તમામ નિર્ણય વહીવટીતંત્ર પર છોડી દેતાં પ્રજામાં વ્યાપક રોષ ફેલાયો છે.
અત્યારે મ્યુનિ. ભાજપ પ્રદીપસિંહ જાડેજા, સુરેન્દ્ર પટેલ, આનંદીબહેન પટેલ, જગદીશ પંચાલ અને આઇ.કે. જાડેજા ગ્રૂપમાં વહેંચાઇ ગયું છે. જોકે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આક્રમકતાથી અત્યારની જૂથબંધીની રણનીતિ પર ભારે ફટકો પડી શકે છે એટલે પ્રદેશ ભાજપ હાઇકમાન્ડ વર્તમાન ટીમના હોદ્દેદારો માટે મહદંશે ‘નો રિપીટ’ થિયરી અપનાવીને લોકોના રોષને ઠારવાનો પ્રયાસ કરી શકે છે.
છેક વર્ષ ર૦૦પથી શહેરમાં ભાજપનું એકધાર્યું શાસન હોઇ ગત વર્ષ ર૦૧પની સામાન્ય ચૂંટણીમાં પણ પ્રજામાં ફેલાયેલી એન્ટીઇન્કમબન્સીથી શાસક પક્ષને નુકસાન થઇ શકે તેમ હતું. જોકે નાગરિકો પાસે અસરકારક વિકલ્પ ન હોઇ ભાજપે સતત ત્રીજી ટર્મ માટે સત્તાનાં સૂત્રો કબજે કર્યાં હતાં. આ વખતે પણ કોંગ્રેસ કોરોના, તૂટેલા રસ્તા, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દાનો કેટલા અંશે ફાયદો લઇ શકશે તે મોટો પ્રશ્ન છે.
કોંગ્રેસ વેરવિખેર હોઇ ભાજપ હાઇકમાન્ડ નવા સીમાંકનનો લાભ ઉઠાવીને નવેસરથી પત્તાં ચીપી શકે છે. જોકે કામગીરીનાં મૂલ્યાંકનના આધારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ મણિનગર વોર્ડમાં બેઠક જાળવી શકે તેવી શકયતા છે. મણિનગરમાં અમૂલ ભટ્ટની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત થઇ હોઇ પેનલમાં સાથી કોર્પોરેટર રમેશ પટેલની બેઠક તેમને ફાળવાય તેમ લાગે છે.
જ્યારે પૂર્વ મહિલા મેયર મીનાક્ષી પટેલની જોધપુર વોર્ડની સામાન્ય બેઠક પછાત વર્ગને ફાળે ગઇ છે. એટલે તેઓ મુસીબતમાં મુકાયાં છે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ગૌતમ પટેલની બેઠક પણ પછાત વર્ગ માટે અનામત જાહેર થઇ છે. વોટર સપ્લાય કમિટીના ડેપ્યુટી ચેરમેન નયન બ્રહ્મભટ્ટની બેઠકને અનુસૂચિત જાતિ માટે ફાળવાઇ છે.
વાસણા વોર્ડના મ્યુનિ. ભાજપના નેતા અમિત શાહની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત કરાઇ છે. હવે તેમણે ફરીથી ચૂંટાઈ આવતાં સાથી કોર્પોરેટર આશિષ પટેલની સામાન્ય બેઠક પરથી લડવું પડશે. ખાડિયાના કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ ઉર્ફે કોકોની બેઠક પણ સામાન્ય જાહેર કરાતા તેઓ પણ તકલીફમાં મુકાયા છે.
ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં નવા સીમાંકનથી બેઠકનાં સમીકરણ વ્યાપકપણે બદલાયાં છે. વેજલપુરમાં ઇલા પટેલની બેઠક અનુસૂચિત જાતિને ફાળે ગઇ છે. નવરંગપુરામાં ભાજપની સામાન્ય બેઠકની પેનલમાં કશ્યપ પટેલની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરાઇ છે. રાણીપમાં ગીતા કે પટેલ અને નારણપુરાનાં ગીતા જી. પટેલની બે સામાન્ય બેઠક પણ પછાત વર્ગને ફાળે ગઇ છે.
ઠકકરબાપાનગરમાં અરુણા શાહ તેમની બેઠક પછાત વર્ગ માટે અનામત જાહેર થતાં મુશ્કેલીમાં મુકાયાં છે. નિકોલમાં રેવન્યુ કમિટી ચેરમેન ગૌતમ કથીરિયાની બેઠક પણ પછાત વર્ગને ફાળે જતાં તેમને સાથી કોર્પોરેટર બળદેવ પટેલની સામાન્ય બેઠક પરથી ચૂંટણી જંગમાં ઊતરવું પડશે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલના શાહીબાગ વોર્ડમાં તમામ બેઠક સામાન્ય જાહેર થઇ હોઇ તુલસી ભીલનું પત્તું કપાયું છે. અસારવાના ઇશ્વર પટણી અને કુબેરનગરમાં કલાબહેન યાદવ પણ તકલીફમાં મુકાયાં છે.
શહેરની કુલ ૧૯ર બેઠક પૈકી ૯૬ બેઠક મહિના માટે અનામત જાહેર કરાઇ છે. અનુસૂચિત જાતિની ર૦ અનામત બેઠક પૈકી ૧૦ બેઠક મહિલા અનામત, અનુસૂચિત જનજાતિની બે અનામત બેઠક પૈકી એક બેઠક મહિલા અનામત અને પછાત વર્ગની ૧૯ અનામત બેઠક પૈકી ૧૦ મહિલા અનામત જાહેર કરાઇ છે. શહેરમાં કુલ ૧૧૬ અનામત બેઠક અને ૭૬ સામાન્ય બેઠક જાહેર કરાઇ હોઇ આગામી સામાન્ય ચૂંટણીમાં નવા સીમાંકનના પગલે રસપ્રદ ચૂંટણી જંગ ખેલાશે તે બાબત નિશ્ચિત છે.