વિશ્વભરમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસના પ્રકોપથી હવે ગુજરાત પણ બાકાત રહ્યું નથી. ગુજરાતમાં અમદાવાદ, સુરત બાદ હવે બનાસકાંઠાના પાલનપુર અને હિંમતનગરમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમને હવે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં છે.
ગુજરાતમાં કોરોના વાયરસના લક્ષણ દેખાયા
અમદાવાદ, સુરત, પાલનપુર અને હિંમતનગરમાં શંકાસ્પદ કેસ
વિદેશથી પરત ફરેલા સુરતના 3 નાગરિકોની તપાસ
અમદાવાદમાં કોરોના વાયરસના સિવિલ હોસ્પિટલમાં કુલ સાત શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. જેમાંથી બે કેસ નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. જ્યારે હજુ પાંચ કેસ શંકાસ્પદ છે. શંકાસ્પદ દર્દીઓના સંપર્કમાં આવતા ચેપ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્રણેય શંકાસ્પદ દર્દીઓને આઇસોલેશનમાં લવાયા છે. વોર્ડમાં દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. સિવિલમાં લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ સાત શંકાસ્પદ કેસ નોંધાયા છે.
બનાસકાંઠાના પાલનપુરમાં એક શંકાસ્પદ કેસ
બનાસકાંઠાના પાલનપુરમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો, કાણોદર ગામના વ્યક્તિને શરદી-તાવ જેવા લક્ષણ દેખાતાં હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. આ વ્યક્તિ થોડા દિવસ પહેલાં જ ઇરાનથી ભારત આવ્યો હતો. ચીન, ઈટલી, ઈરાન, જેવા દેશમાં કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે.
હિંમતનગરમાં પણ છ શંકાસ્પદ કેસ
સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોનાનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. સાબરકાંઠાની 25 વર્ષની યુવતીને હાલ દાખલ કરવામાં આવી છે. યુવતી સિંગાપુરથી ભારત પરત ફરી હતી. યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ હોવાની સંભાવના સેવાઈ રહી છે. જો કે યુવતીના રિપોર્ટ આવવાના બાકી છે. ત્યારે રિપોર્ટના આધારે કોરોના વાયરસ નક્કી થશે. આપને જણાવી દઈએ કે,અત્યાર સુધીમાં હિંમતનગર સિવિલમાં 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા. પરંતુ તમામને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરીને રજા આપવામાં આવી છે.
વિદેશથી પરત ફરેલા સુરતના 3 નાગરિકોની તપાસ
વિદેશથી સુરત પરત ફરેલા કોરોનાના ત્રણ શંકાસ્પદ દર્દીને બુધવારે ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા. ઈરાનથી પરત ફરેલા એક યુવકને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યારે મલેશિયા અને થાઈલેન્ડથી પરત ફરેલા અન્ય બે યુવકને સ્મીમેર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રખાયા હતા. રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમામને નિરીક્ષણ હેઠળ રખાશે. સિવિલમાં દાખલ યુવક ઈરાનથી 10 દિવસે ભારત પરત ફર્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કોરોના ત્રણે દર્દીઓ કોરોનાથી પીડિત છે કે કેમ તેની જાણ થઈ શકશે.