વાવાઝોડાએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિનાસ વેર્યો છે ત્યાં અમદાવાદના અનેક પરિવારો હાલમાં નિરાધાર બન્યા છે.
વાવાઝોડાએ અમદાવાદને ધમરોળ્યું
અનેક પરિવારો બન્યા નિરાધાર
પોલીસે કરી સરાહનીય કામગીરી
અમદાવાદમાં નિરાધાર બન્યા પરિવારો
અમદાવાદમાં વાવાઝોડાએ તબાહી સર્જી છે, મંગળવારે વાવાઝોડાના કારણે શહેરમાં 60થી 70 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક અનેક જગ્યાઓ પર સંપત્તિને નુકસાન થયું છે. ખોખરા, નારોલ, ગોમતીપુરમાં બનાવવામાં આવેલા ઝૂંપડાં વાવાઝોડાના કારણે લોકો નિરાધાર બન્યા છે ત્યારે અમદાવાદ પોલીસ નિરાધાર લોકોની મદદે આવી છે.
પોલીસની સરાહનીય કામગીરી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગરીબ પરિવારો નિરાધાર બનતા પોલીસે આ લોકો માટે જમવાની વ્યવસ્થા કરી આપી છે તથા મંદિર, રૈન બસેરા અને સ્કૂલમાં રહેવા માટેની વ્યવસ્થા કરી છે.
કાગડાપીઠ પોલીસે 300 મુસાફરો માટે જમાવાની વ્યવસ્થા કરી
આ સિવાય એસટી બસ ડેપો પર પણ અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે. વાવાઝોડાના કારણે 300 લોકો બસ ડેપો પર ફસાઈ ગયા હતા જે બાદ કાગડાપીઠ પોલીસે મુસાફરો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નોંધનીય છે કે વાવાઝોડામાં ભારે પવન અને વરસાદના કારણે બસો બંધ કરી દેવામાં આવી હતી.
1998 પછી ફરી એકવાર અમદાવાદમાંથી કોઈ વાવાઝોડું પસાર થયું
તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર બાદ અમદાવાદમાં સૌથી વધારે અસર પહોંચાડી હતી. વર્ષ 1998 બાદ અમદાવાદમાંથી કોઈ વાવાઝોડું પસાર થયું. અમદાવાદમાં શહેરમાં વાવાઝોડાના કારણે 6 ઈંચ વરસાદ ખાબક્યો. 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા અને હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા. વાવાઝોડાના કારણે એક હજાર જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને ભારે વરસાદના કારણે 3 જગ્યાઓ પર રોડ બેસી ગયા. પાલડી વિસ્તારમાં છત પડી જવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. વાવાઝોડાના કારણે વાસણા બેરેજના 6 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા અને હવે નુકસાનને પહોંચી વળવા માટે તંત્ર કામે લાગ્યું છે.
અમદાવાદમાં તૌકતેનો તરખાટ
તૌકતેની અસર અમદાવાદમાં પણ જોવા મળી. સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ તૌકતે અમદાવાદ આવ્યું હતું. જો કે તેની ઝડપ ઓછી હતી પરંતુ શહેરમાં અનેક જગ્યાએ હોડિંગ્સ તુટી પડ્યા હતા. ક્યાંક પતરા ઉડ્યા હતા તો વૃક્ષો પણ ધરાશાયી થવાને કારણે રોડ બ્લોક થયો હતો. પરિમલ ગાર્ડન તથા કાંકરિયા સુધી ઘણું નુકસાન થયું છે.
45 લોકોના કરૂણ મોત
તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં ભારે કહેર વર્તાવ્યો છે, રાજ્યમાં વાવાઝોડાના કારણે ભયંકર નુકસાન થયું છે અને 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં સામે આવ્યું છે કે વાવાઝોડાના કારણે મુત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 45 થઈ છે. આ સાથે જ ઘણા બધા પશુઑના પણ મોત થયા છે.
ગુજરાતમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ
વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.