આ નવરાત્રીમાં જો તમે શહેરની ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં ગરબા રમવા જવાના હોવ તો વાહનોના પાર્કિંગની તમારે ચિંતા કરવી પડશે, કારણ કે આ વર્ષે પણ પાર્કિંગના મુદ્દે પોલીસ કડક વલણ અપનાવી રહી છે.
નવરાત્રીમાં પાર્કિંગ મામલે પોલીસ અપનાવશે કડક વલણ
નો પાર્કિંગમાં વાહન પાર્ક હશે તો પોલીસ ટોઇન્ગ કરશે
રોડ રોમિયો પર બાજ નજર રાખશે શી ટીમ
આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ કોરોનાએ કેડો છોડતા ચાલુ સાલ અમદાવાદમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનનો હાથ ધરવામાં આવ્યા છે. તેવામાં ગરબા સંચાલકો ગરબાના સમયને લઇ અસમંજસમાં મુકાયા હતા. તે મુંઝવણનો હવે અંત આવી ગયો છે. નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ લાઉડ સ્પીકર માટે રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપતા હવે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
સિક્યુરિટી ગાર્ડ અને CCTV ફરજિયાત
નવરાત્રીને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં નવરાત્રી દરમિયાન રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત કોમર્શિયલ ગરબાને લઈને આદેશ કરવામાં આવ્યો છે. ગરબાના આયોજકોને પોલીસ દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. ગરબાના સ્થળે ફરજીયાતપણે સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. આ ઉપરાંત કોમર્શિયલ ગરબામાં સિક્યુરિટી ગાર્ડનો આદેશ આપવામાં આવ્યો છે.
નો પાર્કિંગમાં વાહન પાર્ક હશે તો પોલીસ ટોઇન્ગ કરશે
નવરાત્રી દરમિયાન ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના મળીને હજારો જવાનો રાતના સમયે પણ ટ્રાફિક નિયમન કરશે. જો નો પાર્કિંગમાં વાહન પાર્ક હશે તો પોલીસ ટોઇન્ગ કરશે. એટલું જ નહીં વાહનોને ટો કરવા માટે ક્રેનો રાતના સમયે પણ એસજી હાઈવે-એસપી રિંગ રોડ, રાસ-ગરબાના સ્થળ સહિત શહેરભરમાં ફરશે. જો કોઈ વાહનચાલકે પોતાનું વાહન ટ્રાફિકને અડચણ રૂપ રીતે પાર્ક કરેલું હશે તો તેને ટો કરી દેવાશે.
રોમિયોને લઈને મહિલા પોલીસ સક્રિય
શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં યુવતીઓની છેડતી રોકવા માટે મહિલા પોલીસની શી ટીમ બનાવામાં આવી છે. આ ટીમ નવરાત્રી દરમિયાન રાસ ગરબાના દરેક સ્થળે રોમિયોનને પકડવા માટે તૈનાત હશે. અમુક રસ્તાઓ ઉપર પણ ટીમની મહિલાઓ તૈનાત હશે. સિવિલ ડ્રેસમાં રહેનાર શી ટીમ દ્વારા પણ રોડરોમિયો પર બાજ નજર રાખશે અને જે લોકો રોમિયોગીરી કરતા પકડાશે તેઓ સામે કાર્યવાહી કરશે.
બ્રેથ એનલાઈઝર સાથે પોલીસની રહેશે નજર
પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતાં વ્યક્તિઓના બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવશે અને જે લોકો પકડાશે તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.