લોકડાઉનમાં છૂટછાટ મળી પણ કોરોનાનો આંતક તો ઓછો થયો જ નથી. આજ દિન સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 19000ને પાર પહોંચી છે. અને અમદાવાદમાં તો જાણે કોરોનાએ તાંડવ રચ્યું હોય. અત્યાર સુધીમાં એકલા અમદાવાદમાં 13678 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારાણે અમદાવાદમાં 968 લોકોના દુઃખદ મોત થયા છે.
ગુજરાતમાં કોરોનાના એપી સેન્ટર સમા અમદાવાદમાં પ્રથમ કેસથી લઈ આજે 76 દિવસમાં કોરોના 968 લોકોને ભરખી ગયો છે. સમગ્ર વિશ્વમાં જ્યાં સૌથી વધુ કોરોના કેસ છે એવા અમેરિકાના ન્યુયોર્ક શહેરની સરખામણી અમદાવાદ સાથે કરીએ તો ન્યુયોર્ક કરતાં પણ અમદાવાદનો ડેથરેટ ( મૃતાંક- સરેરાશ મૃત્યુ) વધારે છે. અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસના 7 % જેટલો મૃત્યુદર છે. જ્યારે ન્યુયોર્ક જેવા ન્યુયોર્કનો મૃત્યુદર 6.7 ટકા છે.
ન્યુયોર્કમાં કોરોનાના કેસની સંખ્યા 3.83 લાખ પર છે જ્યારે મૃત્યુ 30 હજાર થયા છે. જો ન્યુયોર્કના સરેરાશ મૃત્યુ જોઈએ તો 6.7 ટકા મૃત્યુદર આવે છે. વિશ્વમાં સૌથી વધુ હાહાકાર મચાવનાર અમેરિકાના ન્યુયોર્ક શહેર કરતાં પણ અમદાવાદનો મૃત્યુદર વધુ છે. અમદાવાદમાં આવનાર બે દિવસમાં મૃત્યુઆંક 1000ને પાર થવાની સંભાવના આરોગ્ય વિભાગે દર્શાવી છે.
ડૉક્ટરોના અને આરોગ્ય વિભાગના તારણ મુજબ અમદાવાદમાં કોરોનાના વધુ મૃત્યુદરનું કારણ કોમોર્બિડીટી છે. કોમોર્બિડીટી અર્થાત્ હાઈપર બ્લડ પ્રેશર, ડાયાબિટીશ, કિડની જેવી ગંભીર બિમારી ધરાવતાં દર્દીઓ. ગુજરાત અને અમદાવાદમાં કોમોર્બિડીટીની વધુ હોવાના કારણે મૃત્યુદર વધુ છે.