અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર બેલાબેન પ્રજાપતિએ જણાવ્યું, અત્યારે સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસના રોજના 20 જેટલા નવા કેસો નોંધાઈ રહ્યા છે
અમદાવાદમાં મ્યુકર માઇક્રોસિસના કેસોમાં વધારો
રોજના 20 જેટલા નવા કેસો
ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કાળજી લેવી
સમગ્ર ગુજરાતમાં કોરોનાના સેકન્ડ ફેઝમાં મ્યુકોર્માઇકોસિસના કેસો વધ્યાં છે. ત્યારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કેસોની શું સ્થિતિ છે તે અંગે સિનિયર ડોક્ટર બેલાબેન પ્રજાપતિએ જણાવ્યુ હતું કે અત્યારે સિવિલ હોસ્પિટલમાં રોજના 20 જેટલા નવા કેસો નોંધાઈ રહ્યા છે. અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં 117 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જયારે રોજના 6થી 7 દર્દીઓના મ્યુકોર્માઇકોસિસના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે.
મોટાભાગે નાકમાં અને આંખમાં ઇન્ફેક્શન વધુ જોવા મળે છે. 5 ટકા કેસોમાં દર્દીઓને આંખો ગુમાવી પડી છે. જયારે 10 ટકા કેસમાં દર્દીઓનું તાળવું કાઢવું પડે છે. અત્યાર સુધી અસારવા સિવિલ હોસ્પિટલમાં 4 દર્દીઓની આંખો અને 4 દર્દીઓના તાળવા કાઢી નાખવામાં આવ્યા છે. આ અંગે તેમણે વધુમાં લોકોને સલાહ આપતા જણાવ્યુ છે કે માથામાં દુખાવો થવો, આંખોમાં સોજો આવવો, તાળવામાં મુશ્કેલી થવી, મોઢા પર સોજા આવવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવી તેમજ ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કાળજી લેવી જોઇએ.
જવલ્લે જ જોવા મળતો મ્યુકોર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકોર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકોર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકોર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકોર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.