મુંબઈમાં એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. નિરાધાર લોકો બેંક બહાર બેસે નહીં કે સૂવે નહીં તે માટે બેંકને ખિલ્લા લગાવવાનો વારો આવ્યો હતો. બાદમાં તેનો વિરોધ થતાં બેંકને આ ખિલ્લા હટાવવાનો વારો આવ્યો હતો. મુંબઈમાં HDFC બેંકની ફોર્ટ શાખા દ્વારા બેંક બહાર લોખંડના ખિલ્લા લગાવવામાં આવ્યા હતા. જ્યાં રાત્રિના સમયે કોઈ સૂઈ ના જાય તે માટે ખિલ્લા લગાડ્યા હતા.
બેંકના આ અસંવેદનશીલ પ્રયોગનો લોકોએ ભારે વિરોધ કરતા ફેસબુક અને ટ્વીટર પર બેંકના કરતૂતને ઉઘાડી પાડી હતી. ઉપરાંત લોકોએ બેંકનો સામૂહિક વિરોધ કરવાનું પણ એલાન કર્યું હતું. વિરોધ કરનારાઓમાં HDFC બેંકના કેટલાય ગ્રાહકોનો પણ સમાવેશ છે.
સોશિયલ મીડિયામાં બેંકના વિરોધની જાણકારી બેંકના ટોચના અધિકારીઓને થતાં આ ખિલ્લા હટાવાયા હતા. તો HDFC બેંકના હેડ ઓફ કોર્પોરેટ કમ્યુનિકેશન નીરજ ઝાએ લોકોને પડેલી અસુવિધાની ટ્વીટર દ્વારા માફી પણ માગી હતી.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં એવા કેટલાય બેઘર અને નિરાધાર લોકો છે કે જેઓ ફૂટપાથ પર પોતાનું જીવન વ્યતીત કરી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર મુંબઈમાં 50 હજારથી પણ વધુ લોકો ફૂટપાથ પર જીવન વીતાવે છે. પરંતુ સરકાર દ્વારા તેઓ માટે હજુ સુધી કોઈપણ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી નથી.