જમ્મૂ કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા બાદ કાશ્મીર ખીણનો માહોલ પડકાર ભર્યો બની ગયો છે. સુરક્ષા દળો અને સ્થાનિક વહીવટી તંત્ર માટે જમ્મૂ-કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવાનું કામ પડકાર ભર્યું છે. આઈપીએસના રૂપમાં દેશની બે બહાદૂર દિકરીઓએ કાશ્મીરમાં શાંતિની જવાબદારી પોતાના ખભામાં લીધી છે.
જમ્મૂ અને કાશ્મીરની પુનરરચના બાદ હવે રાજ્યને બે કેદ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત દેવામાં આવ્યો છે. એક જમ્મૂ-કાશ્મીર અને બીજો પ્રદેશ લદાખ આ રીતે તેનું વિભાજન કરવામાં આવ્યું છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા અને પુનરરચનાની જાહેરાત બાદ કાશ્મીરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પડકારભરી બની છે. સુરક્ષાતંત્રથી માંડીને સ્થાનિક વહીવટી તંત્ર માટે કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું કામ સૌથી મોટો પડકાર બની ગયો છે.
હાલ તો બન્ને કેદ્ર શાસિત પ્રદેશોમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ શાંતિ ડહોળતી છૂટક ઘટનાઓ બની રહી છે. ત્યારે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અનેક અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે કાશ્મીરમાં તહેનાત અધિકારીઓમાં દેશની બે દીકરીઓ પણ આઈએએસ અને આઈપીએસના રૂપમાં પોતાની ફરજ બજાવી રહી છે.
આ બન્ને મહિલા આઈપીએસ અધિકારીમાંથી એકનું નામ છે ડો. સૈયદ સેહરિશ અસગર અને બીજા મહિલા અધિકારીનું નામ છે પી.કે. નિત્યા હકીકતમાં આ બન્ને મહિલા અધિકારીને શ્રીનગરમાં પોસ્ટિગ આપવામાં આવ્યું છે. શ્રીનગરમાં સ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે અને નાગરિકોને મદદ કરવા માટે તેમને તહેનાત કરવામાં આવી છે.
બન્ને મહિલા અધિકારીઓ માંથી સૌથી પહેલા ડો. સૈયદ સેહરિશ અસગરની વાત કરીએ તો તેમને કાશ્મીરને કેદ્ર શાશિત રાજ્ય બનાવ્યાના પહેલા માત્ર ચાર દિવસ માટે શ્રીનગરમાં ડાયરેક્ટર ઓફ ઈમ્ફોર્મેશન તરીકે મૂકવામાં આવ્યા હતા. જ્યાં અસગર કાશ્મીરના લોકોને પોતાના પરિવાર સાથે મેળવવા માટે અને મેડિકલ સુવિધા પહોંચાડવામાં મદદ કરી રહ્યા હતા.
પરંતુ ધારા 370 હટાવ્યા બાદ અસગર પર એક એવી જવાબદારી આવી જેની કલ્પના તેમણે કરી જ નહોંતી. અસગર હાલ ખીણ વિસ્તારમાં એવા લોકોની મદદ કરી રહી છે જે ટેલિફોન અને મોબાઈલ બંધ હોવાના કારણે પોતાના સંબધીઓનો સંપર્ક કરી શકતા નથી. અસગર ખીણમાં ક્રાઈસિસ મેનેજર તરીકે પોતાની ફરજ બજાવી રહી છે.
મેડિકલ લાઈનથી આઈએએસ બનવા સુધીની સફર ખેડનારી અસગરની કહાની ઘણી રોચક છે. અસગરને એક વર્ષની પુત્રી પણ છે. હકીકતમાં પહેલા અસગર જમ્મૂમાં જ ડોક્ટર તરીકે ફરજ બજાવતી હતી. પરંતુ તેણીએ ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ છોડીને યુપીએસસીની પરીક્ષા આપી. વર્ષ 2013માં અસગર આઈએએસ અધિકારી બની ગઈ. અસગરના પતિ પણ પુલવામા જિલ્લામાં જ કમિશનર છે.
અસગરની જેમ જ શ્રીનગરમાં પોસ્ટ પામનારી બીજી એક જાંબાજ મહિલાનું નામ છે. આઈ પી એસ પી.કે. નિત્યાને રામ મુનશી બાગ અને હર્બન ડાગચી ગામની વચ્ચે 40 કિમીના વિસ્તાર પર નજર રાખવાની જવાબદારી આપવામાં આવી છે. આ વિસ્તારમાં ગવર્નરનું નિવાસસ્થાન હોવાથી તમામ વીઆઈપીઓની આવનજાવન રહે છે. એ વીઆઈપીઓની સુરક્ષાની જવાબદારી પણ આઈપીએસ નિત્યા પર છે.
કેમિકલ એન્જિનિયર તરીકેની પૃષ્ઠભૂમિમાંથી આવતી નિત્યા છત્તીસગઢની છે. કેમિકલ એન્જિનિયરીંગમાં બી ટેકની ડિગ્રી હાંસલ કરનારી નિત્યા એક સિમેન્ટ કંપનીમાં મેનેજર પદે પણ કામ કરી ચૂકી છે. પી. કે. નિત્યા હિંદી ઉપરાંત કશ્મીરી અને તેલુગુ ભાષા પર પણ સારી પકડ ધરાવે છે. પી કે નિત્યા કાશ્મીરમાં રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવી રહી છે. જ્યારે ખીણમાં લોકો અશાંતિ સર્જે છે ત્યારે આઈપીએસ નિત્યાએ લોકો સાથે કાશ્મીરી ભાષામાં વાત કરીને તેમને શાંત પાડે છે.
કાશ્મીર માંથી ધારા-370 હટાવ્યા બાદ સૌથી વધારે ચર્ચા નરેદ્ર મોદી, અમિત શાહ અને અજિત ડોભાલના નામની થઈ રહી હતી. પરંતુ હવે ખીણમાં કાયદો વ્યવસ્થા જાળવવા તહેનાત આ બન્ને બહાદુર મહિલાઓના નામ પણ હવે લોક જીભે ચર્ચાવા લાગ્યા છે.