પોરબંદરનો 39 વર્ષનો યુવક કોરોના પોઝિટિવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો, જે બાદ તેની સાડા ચાર મહિના સારવાર ચાલી હતી
પોરબંદરના યુવકે 144 દિવસ બાદ કોરોનાને માત આપી
રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં હતો દાખલ
ડોકટરોની અથાગ મહેનત, પરિવારની પ્રાર્થના, નિશાંતનો નીડર સ્વભાવ કામ આવ્યો
કોરોના સામે ભલભલા જિંદગીનો જંગ હાર્યા, કેટલાય તો એવા હતા કે ખાલી કોરોના પોઝિટિવ આવતા હેબતાઈને મોતને ભેટયા તો કોઈનું સ્વજન છેક સુધી લડયું પણ છેલ્લે કોરોના જીત્યો ત્યારે રેરેસ્ટ ઓફ રેર કહી શકાય તેવો કિસ્સો કોરોના સામે જંગ જીત્યો. વાત છે પોરબંદરના નિશાંતની, કહાની છે હોસ્પિટલ સ્ટાફની મહેનતની.
100% કોરોનાનો ચેપ, 60% ઓક્સિજન, 3 મહિના વેન્ટીલેટર પર
પોરબંદરનો 39 વર્ષનો નિશાંત બીજી લહેર વખતે કોરોનાની ચપેટમાં આવ્યો હતો. જે બાદ તેને રાજકોટની હોસ્પિટલ ગોકુલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તમામ રિપોર્ટ આવતા બસ ડોકટરોની મહેનત અને ભગવાન ભરોસે બધુ હતું. નિશાંતને ફેફસામાં 25 માંથી 25 સ્કોર એટલે કે 100% ફેફસામાં કોરોનાનો ચેપ હતો. કોરોના અતિશય ઈન્ફેક્શનને કારણે ઓક્સિજન લેવલ પણ 60 સુધી પહોંચી ગયું હતું. આવી હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયેલા નિશાંતને ઓક્સિજન સપોર્ટ માટે વેન્ટીલેટર રાખવો પડ્યો હતો એ પણ એ બે દિવસ નહીં પણ 120 દિવસ.
હોસ્પિટલ સ્ટાફની અથાગ મહેનત રંગ લાવી
40 દિવસ બાદ નિશાંતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ ફેફસાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી.એક વખત તો ફેફસા બદલવા પડે એવી સ્થિતિ હતી પણ સારવારમાં હોસ્પિટલ સ્ટાફ રાત દિવસ એક કર્યા હતા. ડૉક્ટરોને ત્યારે આશ જાગી જ્યારે નિશાંત એક બાદ એક દિવસે રિકવર થતો ગયો, પણ ખતરો ટળ્યો ન હતો. પોસ્ટ કોવિડની સારવાર પણ બહુ લાંબી હતી. આખરે નિશાંતનો જિંદગી જીવવાનો જજબો, ડોકટરોની અથાગ મહેનત, પરિવારની ભગવાનને પાર્થના ફળી હતી. અને 144 દિવસ બાદ નિશાંત કોરોનાને માત આપી નમ આખે ઘરે પરત ફર્યો હતો. નિશાંત વિના સુસ્ત પડેલી જિંદગીનો સામનો કરી રહેલો પરિવાર જ્યારે આટલા દિવસ પછી નિશાંત ઘરે પરત હેમખેમ ફર્યા એ જોઈ હર્ષના આસુંએ રડી પડ્યો હતો.