લાલકૃષ્ણ અડવાણી ભાજપના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે, પણ હવે તેમની વરિષ્ઠતા માત્ર ઉંમર અને પાર્ટી સાથેના જોડાણના વર્ષો બાદ મર્યાદીત બની છે. એક સમયે ઉપમુખ્યમંત્રી રહી ચુકેલા અને પ્રધાનમંત્રી પદના દાવેદારને હવે લોકસભાની ટિકિટ પરથી પણ સાઈડલાઈન કરાયા છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે તેમની બેઠક ગાંધીનગરથી અમિત શાહને મેદાને ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે હવે અડવાણીનું પક્ષમાં અને પાર્ટીમાં શું મહત્વ રહેશે તે અંગે લોકોને સવાલ થઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.
ગુજરાતના ગાંધીનગરની બેઠક પરથી અડવાણી 6 વાર સાંસદ રહી ચુક્યાં છે. હવે અડવાણી ભાજપમાં માર્ગદર્શક કમિટીમાં સામેલ કરાયા છે, પરંતુ આ વખતે ટિકિટ ન આપીને લાગે છે કે, ભાજપ તેમને સંપૂર્ણ રાજનૈતિક સંન્યાસ આપવવાના મૂડમાં છે. આ એજ અડવાણી છે કે, જેમણે 1984માં બે બેઠકો પર સમેટાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટીને નવજીવન બક્ષ્યું હતું. પહેલાં પાર્ટીને ભારતના રાજકારણના કેન્દ્રમાં પહોંચાડી અને ત્યાર બાદ 1998માં પહેલીવાર પાર્ટીને દિલ્હીની સત્તા સુધી પહોંચાડી હતી. ભાજપને ઝીરોમાંથીએ હીરો બનાવવામાં એલ. કે. અડવાણીની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી.
1998માં જ્યારે ભાજપની સરકાર બની હતી ત્યારે તેમને અટલજીને પ્રધાનમંત્રી તરીકે આગળ કર્યા હતા અને બાદમાં તેમને હત્યાર સુધી પાર્ટી માટે સંઘર્ષ કરીને આ સ્થાન મેળવ્યુ હતું, પરંતુ 2014ની ચૂંટણી પહેલા લોકો તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જોઈ રહ્યા હતા. પરંતુ સર્વાનુમતે તમામ નેતાઓએ પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદી પર મંજૂરીની મ્હોર મારી હતી. જેને લઈને પ્રધાનમંત્રી બનવાની તેમની ઈચ્છા મનમાં જ રહી ગઈ હતી.
ઉલ્લેખનિય છે કે, ભાજપને દેશમાં અનેક પડકારોમાં ઉભી કરનાર લાલકૃષ્ણ અડવાણી હતા, પરંતુ હવે તેમને પ્રધાનમંત્રી પદ તો દૂર પરંતુ તેમની બેઠક ગાંધીનગર પરથી ચૂંટણીની ટિકિટ પણ આપવામાં આવી નથી. જોકે અડવાણીને લઈને કેટલાક વિવાદો પણ રહ્યાં હતા. અડવાણી પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની કબર પર જતા ભારે વિવાદ થયો હતો અને આ ઘટના બાદ અડવાણીનું રાજકીય કદ ઘટવા લાગ્યું હતું તેમ લોકો માની રહ્યા છે. આ ઘટના બાદ ભાજપમાં જ નહી પરંતુ RSSમાં પણ તેમનું સ્થાન ઘટ્યું છે. હવે ચૂંટણી બાદ અડવાણી રાજકીય સક્રિય રહેશે કે તેમને સંપૂર્ણ પણે સંન્યાસ આપવામાં આવશે તે જોવાનું રહ્યું.