મોરબી પંથકમાં પ્રથમ વરસાદ તોફાની બન્યો હતો. ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદને લીધે દીવાલ પડતા એક જ પરિવારના 3 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા.
મોરબીના હળવદ તાલુકામાં દીવાલ પડતા 3ના મૃત્યુ
સુંદરીભવાની ગામ નજીક દિવાલ પડતા મોટી દુર્ઘટના
પવન સાથે ભારે વરસાદને કારણે દીવાલ થઈ હતી ધરાશાઈ
મોરબીના હળવદ તાલુકામાં વધુ એક વખત કરુણાંતિકા સર્જાઇ હતી. જેમાં સુંદરીભવાની ગામ નજીક દીવાલ જામીનદોસ્ત થતાં 3 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. મોરબી પંથકમાં ચોમાસાના આગમન સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ દરમિયાન પવન અને વરસાદની થપાટે સુંદરીભવાની ગામે કેનાલ કાંઠે વાડી વિસ્તારમાં દીવાલ એકાએક નીચે ખાબકી હતી. જે અકસ્માતમાં વાડીએ દિવાલ પાસે બેઠેલા કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ અંગે લોકોને જાણ થતાં ભાગદોડ મચી ગઈ હતી. જેને તાત્કાલિક સ્થાનિકોની મદદથી બાહર કાઢવામાં આવ્યા હતા.
2 સગાભાઈ સહિત 3 વ્યક્તિઓને કાળ આંબી ગયો
હળવદના સુંદરીભવાની ગામની સીમમાં કેનાલ કાંઠે આવેલ ગફલભાઈ સુરાભાઈ દેગામાની વાડીએ દીવાલ ધારાશાયી થઈ હતી જેમાં તેમના બે દીકરા છેલાભાઈ ગફલભાઈ દેગામાં, વાઘજીભાઈ ગફલભાઈ દેગામાં તેમજ પુત્રવધૂ દીવાલના કાટમાળ હેઠળ દટાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. 2 સગાભાઈ સહિત કુલ 3 વ્યક્તિઓને કાળ આંબી ગયો હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. બીજી તરફ આ મામલે પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસે દોડી જઈ અકસ્માતે મોતની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
તાજેતરમાં હળવદમાં 12 શ્રમિકોનાં મોત નિપજ્યાં હતા
ગત માસમાં હળવદ GIDCમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ પડવાની દુર્ઘટના ઘટી હતી. જેને લઈને એક મીઠાના કારખાનામાં 12 શ્રમિકોનાં મોત થયા હતા. જ્યારે અન્ય કેટલાંક લોકો તેમાં ઇજાગ્રસ્ત થયા હતા.જે લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત થોડા સમય અગાઉ મોરબી જિલ્લાના હળવદના દીધડીયા ગામે પણ દીવાલ પડવાની કરુણાંતિકા સર્જાઈ હતી.જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. આ ઘટના હજુ તાજી જ છે. ત્યાં ફરી દીવાલ પડતાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.