ગાંધીનગરમાં વિદ્યાસહાયકો દ્વારા સચિવાલય ખાતે રસ્તો બ્લોક કરીને વિરોધ, પોલીસે કર્યા ડિટેઇન, વીટીવી ન્યૂઝ સમક્ષ રડતા રડતા ઠાલવી વ્યથા
વિદ્યાસહાયકોનો સચિવાલય પાસે વિરોધ
મોટી સંખ્યામાં વિદ્યાસહાયકો દ્વારા ગાંધીનગરમાં વિરોધ
12 હજાર શિક્ષકોની ભરતીની માંગ
રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ક્યાંક આદિવાસીઓનો વિરોધ ક્યાંક ખેડૂતો અને માલધારીઓ વિરોધે ચઢ્યા છે. ત્યારે હવે વિદ્યાસહાયકોએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. ગાંધીનગરમાં સચિવાલય પાસે વિદ્યાસહાયકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
વિદ્યાસહાયકો ડિટેઇન કરાયા
ગાંધીનગર સચિવાલય ગેટ નંબર 1 ખાતે મોટી સંખ્યામાં વિદ્યાસહાયકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વિદ્યાસહાયકો ભારે રોષ અને આક્રોશ સાથે વિરોધ કરતા જોવા મળ્યા. તેઓની એક જ માંગ છે કે 12 હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવે અને પ્રવાસી શિક્ષકોની પ્રથા રદ કરવામાં આવે. વિરોધ કરનાર મહિલા અને પુરુષોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં હતી.
અમારું કોઇક તો સાંભળો- વિદ્યાસહાયક
વિદ્યાસહાયકોનું કહેવુ છે 2018ની ભરતી તમે અત્યારે કરો છો. કેલેન્ડર પ્રમાણે તમારે ભરતી કરવી જોઇએ અટેલે અત્યારે ભરતી કરો તો તમારે 12 હજાર શિક્ષકોની ભરતી કરવી જોઇએ. તો અન્ય એકે જણાવ્યુ કે છેલ્લા 15 દિવસથી અમે વિરોધ કરી રહ્યા છીએ પરંતુ કોઇ અમારી વાત સાંભળતુ નથી. આટલુ બોલતા બોલતા એક વિદ્યાસહાયક રડી પડ્યા હતા. રડતા રડતા જણાવ્યુ કે અમે કંટાળી ગયા છીએ કોઇક અમને ન્યાય અપાવો.
'અમારુ આંદોલન ચાલુ જ રહેશે'
સચિવાલય ખાતે ગેટ નંબર એક પર રસ્તો બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. છેલ્લા 15 દિવસથી આ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ હજી સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. વિદ્યાસહાયકોએ સ્પષ્ટ જણાવ્યુ હતું કે જ્યાં સુધી અમારી માગ પુરી નહી કરવામાં આવે ત્યાં સુધી અમારુ આંદોલન ચાલુ જ રહેશે.
વિદ્યાસહાયકોના વિરોધનું કારણ શું ?
રાજ્ય સરકાર દ્વારા 19 હજારની ભરતી સામે 3300 શિક્ષકોની ભરતીના આદેશ આપતા વિદ્યાસહાયકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 3300 વિદ્યાસહાયકની ભરતીમાં 1થી 5માં 1300 વિદ્યાસહાયકોની ભરતી થશે અને 6થી 8માં 2000 શિક્ષકની ભરતી પ્રક્રિયાની જાહેરાત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. તો બીજી તરફ કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10 હજાર જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવ્યો છે. વિદ્યાસહાયકો પ્રવાસી શિક્ષકોની ભરતીની જાહેરાત થતા રોષે ભરાયા છે.મહત્વનું છે કે રાજ્ય સરકારે 60%થી વધુ જગ્યા માટે હાલ પુરતા પ્રવાસી શિક્ષકોની ભરતીને મંજૂરી આપી છે. ધોરણ 1થી 5ના વર્ગો માટે રાજ્યભરમાં કુલ 2043 પ્રવાસી શિક્ષકોની માંગણી થઈ હતી જેની સામે 1173 જગ્યા સરકારે મંજૂર કરી છે અને સામે પક્ષે ધોરણ 6 થી 8ના વર્ગો માટે કુલ 653 માંગણી ની સામે 376 પ્રવાસી શિક્ષકોની ભરતી સરકારે મંજૂર કરી છે એટલેકે રાજ્યભરમાં કુલ 2696 જગ્યાની ભરતીની સામે સરકારે 1549 ખાલી જગ્યા માટે મંજૂરી આપી છે.