અભિવ્યક્તિ 2020ના આ પહેલા વીકએન્ડમાં શનિવારે નાટક, નૃત્ય અને સંગીતના મહારથીઓએ પોતાનો રસાસ્વાદ કરાવ્યો હતો. સંપૂર્ણ મફત એન્ટ્રીનો લાભ મેળવીને પોતાના પ્રિય કલાકારોને માણવા આવેલા આ બધા જ દર્શકોએ આ કૃતિઓને મનભરીને માણી હતી. નોંધનીય છે કે આ તમામ કૃતિઓ ફરીથી ભજવવામાં આવશે અને આ ઉપરાંત નવી ઘણી બધી કૃતિઓ આવતા અઠવાડિયાથી શરુ થશે. 1લી માર્ચ સુધીની તમામ કૃતિઓનું સમયપત્રક નીચે આપેલ લિંકમાં જોઈ શકાશે.
15 ફેબ્રુઆરીએ શનિવારે સાંજે 7 વાગ્યાથી જ કાર્યક્રમોની હારમાળા શરુ થઇ ગઈ હતી. જેની શરૂઆત "રાગ રંગ" કાર્યક્રમથી થઇ હતી.
"રાગ રંગ" કાર્યક્રમ "ખયાલ" થી "ગઝલ" સુધીની સફર છે. સૌ કોઈ જાણે છે કે ગઝલનું માળખું હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના રાગના આધારિત છે. આમ છતાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોમાં ગઝલની પ્રસ્તુતિ અને ગઝલના કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીતની હજુ સુધી ક્યારેય કરવામાં આવી નથી. "રાગ રંગ" કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે જેમાં 2 ગીતકારો શાસ્ત્રીય સંગીત અને ગઝલ બંનેની પ્રસ્તુતિ એક જ મંચ ઉપરથી કરવામાં આવે છે.
"રાગ રંગ" કાર્યક્રમ બીજી વખત હવે 20 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગે અને 27 ફેબ્રુઆરીએ સાંજે 9 વાગે પરફોર્મ થશે.
બીજા કાર્યક્રમમાં શ્રદ્ધા બ્રહ્મભટ્ટે "મહોરા" અંતર્ગત શાસ્ત્રીય નૃત્યની કૃતિ રજુ કરી. "મહોરા" કૃતિમાં કલાકારો પોતાના નૃત્ય વડે ઈચ્છાઓ, આકાંક્ષાઓ, દર્દ, મહેચ્છાઓ, યાદગીરીઓ, પ્રતીક્ષા, અહંકાર જેવા ભાવોનું પ્રદર્શન કરે છે.
"મહોરા" કૃતિ બીજી વખત હવે 21 ફેબ્રુઆરીએ સાંજે 8:45 વાગે અને 26 ફેબ્રુઆરીએ સાંજે 8:45 વાગે પરફોર્મ થશે.
હર્ષશોધનના નવતર એવા "મૃગદેવતા" નાટકે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. "મૃગદેવતા" નાટક અંજનપુર નામના એક ગામની વાર્તા છે જ્યાં લોકો મૃત્યુની રાહ જોવામાં આખું જીવન કાઢી નાખે છે. આ ગામમાં મરવું એ એક ઉત્સવ છે અને જન્મ લેવો એક શોક છે. તેઓ માને છે કે મર્યા બાદ મૃગદેવતા તેમને અનંતવિધેયકક્ષેત્ર નામની એક કાલ્પનિક જગ્યાએ લઇ જાય છે જ્યાં તેઓ હંમેશ માટે ખુશ રહે છે. શું આ માન્યતા લોકો જાળવી રાખશે કે તે બદલાઈ જશે તે જોવા આ નાટક જોવું જ પડે.
"મૃગદેવતા" નાટક બીજી વખત હવે 20 ફેબ્રુઆરીએ સાંજે 7:15 વાગે અને 22 ફેબ્રુઆરીએ સાંજે 7:15 વાગે પરફોર્મ થશે.
"લક્ષ્મણા" કૃતિમાં સોનલ ભાર્ગવે શ્વાસ થંભાવી દે તેવું ભરતનાટ્યમ પ્રદર્શિત કર્યું હતું. "લક્ષ્મણા" કૃતિ એક એવી મહિલા ઉપર આધારિત છે જે ભગવાનના અસ્તિત્વ ઉપર પ્રશ્ન ઉભો કરે છે. લક્ષ્મણા મહાભારતની એક શક્તિશાળી અને વિદ્રોહી સ્ત્રીપાત્ર હતી. મહાભારતમાં થયેલું ધર્મયુદ્ધ કૃષ્ણ ભગવાનની કૂટનીતિનું પરિણામ હતું અને તેમના વાંકે લાખો લોકોએ તેમનો જીવ ગુમાવ્યો એવો વેધક આક્ષેપ લક્ષ્મણા કૃષ્ણ ઉપર સવાલોના સ્વરૂપે લગાવે છે.
"લક્ષ્મણા" કૃતિ બીજી વખત હવે 25 ફેબ્રુઆરીએ સાંજે 8:00 વાગે અને 01 માર્ચે સાંજે 9:00 વાગે પરફોર્મ થશે.
"અભિવ્યક્તિ" પર્વનું સરનામું
KCG Campus, Infront of PRL Nr. LD Eng. College, Navrangpura, Ahmedabad