તમને જાણીને નવાઈ લાગશે કે કર્ણાટકમાં મેળો ભરાય ત્યારે થોડા દિવસો પહેલા જ ગામના લોકો પોતાના ઘર અને દુકાનોને તાળા મારીને ખેતરોમાં જતા રહે છે.
કર્ણાટકમાં ત્રણ વર્ષે એક વખત ગ્રામદેવીનો મેળો ભરાય
લોકો પોતાના ઘર અને દુકાનોને તાળા મારીને ખેતરોમાં જતા રહ્યા
મેળાનું આયોજન 1 માર્ચથી 9 માર્ચ સુધી કરવામાં આવશે
Karnataka News: કર્ણાટકના ધારવાડ જિલ્લામાં સ્થિત કલાઘાટગી ગામમાં દર ત્રણ વર્ષે એક વખત ગ્રામદેવીનો મેળો ભરાય છે. આ મેળો અન્ય મેળાઓ જેવો નથી. આ મેળાને લઈને લોકોમાં ઉત્સાહ તો જોવા મળે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મેળાના થોડા દિવસો પહેલા જ ગામના લોકો પોતાના ઘર અને દુકાનોને તાળા મારીને ખેતરોમાં જતા રહે છે. આ રિવાજનું અહીં દાયકાઓથી પાલન કરવામાં આવે છે.
કલાઘાટગી સહિત આસપાસના પાંચ ગામના લોકો મેળા માટે એક અનોખી પ્રથાનું પાલન કરે છે. હજારો લોકો ઘરને તાળા મારીને પરિવાર સાથે ગામની બહાર જાય છે. આ ગામમાં લગ્ન, સગાઈ, નામકરણ સહિતના કોઈ શુભ કાર્ય આગામી ઉગાદી સુધી કરવામાં આવતા નથી.
આ પરંપરાનનું પાલન દરેક જાતિ, પંથ અને ધર્મના લોકો કરે છે. પરંપરા અનુસાર, મેળો શરૂ થતા પહેલા મંગળવારથી લઈ શુક્રવાર સુધી બધા ગામની બહાર નીકળી જાય છે. આ પાંચ દિવસ સુધી બધું બંધ રહે છે. ધંધાકીય વ્યવહાર પણ બંધ રહે છે. તમને જણાવી દઈએ કે આ મેળાનું આયોજન 1 માર્ચથી 9 માર્ચ સુધી કરવામાં આવશે.
લોકો ગામની બહાર કેમ જાય છે ?
આ પ્રથા તદ્દન વિચિત્ર લાગશે, પરંતુ કાલાઘાટગીના ગામના લોકોને તેનામાં અતૂટ વિશ્વાસ છે. અહીં ગામના લોકોનું માનવું છે કે જે 5 દિવસ તેઓ ગામની બહાર થાય છે, એ દરમિયાન ગ્રામ દેવીઓ (ત્રણ બહેનો) ગામની રક્ષા કરે છે. આ દેવીઓ ગામમાં હાજર દુષ્ટ શક્તિઓનો સંહાર કરે છે. જેથી ગ્રામદેવીઓના કામમાં કોઈ બાધા ન આવે તે માટે તમામ ગ્રામજનો પોતાના ઘરને તાળા મારીને નીકળી જાય છે.
મેળા પછી શું થાય છે ?
1 માર્ચથી 9 માર્ચ સુધી ચાલનારા મેળામાં ત્રણ દેવીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. 9માં દિવસે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિસર્જન બાદ ત્રણેય દેવીઓ પૃથ્વી છોડીને સ્વર્ગમાં પહોંચે છે, પછી ઉગાદીમાં પૃથ્વી પર નવો જન્મ લે છે. મેળા પછી આવતી ઉગાદી સુધી ગામમાં કોઈ લગ્ન, નામકરણ અને સગાઈ જેવા કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી. હોળીના તહેવાર પર રંગોથી લોકો નથી રમાતા.