અમદાવાદ મનપા તંત્રની ઘોર બેદરકારીનો જીવતો પુરાવો, રાણીપ અને ન્યુ રાણીપને જોડતો GST અંડરબ્રિજ 6 વર્ષથી બંધ, સ્કૂલના વિદ્યાર્થીઓ, મહિલાઓ, સિનિયર સિટિઝન પણ ઓળંગી રહ્યાં છે રેલવે ટ્રેક.
રાણીપ અને ન્યૂ રાણીપને જોડતો GST અંડરપાસ 6 વર્ષથી બંધ
GST અંડરપાસ બંધ હોવાથી લોકો રેલવે ક્રોસિંગ પરથી પસાર થવા મજબૂર
રેલવે ક્રોસિંગ પર કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ?
અમદાવાદમાં ઠેર-ઠેર વિકાસના કામો ચાલી રહ્યા છે. ક્યાંક ઓવરબ્રિજ તો ક્યાંક મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે. પરિણામે વાહનચાલકો સખત મુશ્કેલી અનુભવી રહ્યા છે. એક તો રસ્તા બંધ હોય એટલે ફરી ફરીને જવું પડે છે અને બીજું ટ્રાફિકમાં સમય બગડે એ અલગ. ત્યારે રાણીપ અને ન્યૂ રાણીપને જોડતો GST અંડરપાસ 6 વર્ષથી બંધ હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની ઉગ્ર માંગ બાદ શરૂ કરવામાં આવેલી અંડરબ્રિજની કામગીરી હજુ પણ પૂર્ણ થઈ નથી. જેના કારણે 10 મિનિટે જ્યાંથી એક ટ્રેન પસાર થાય છે એવા વ્યસ્ત રેલવેટ્રેક ક્રોસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓ, મહિલાઓ, સિનિયર સિટિઝનો રાણીપથી ન્યૂ રાણીપ જાય છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
6 વર્ષથી અંડરબ્રિજની કામગીરી ચાલું
સ્થાનિકોએ GST ફાટક પાસે અંડરબ્રિજ બનાવવાની માંગ કરી હતી, ત્યારે છેલ્લા લગભગ 6 વર્ષથી અંડરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેનું કામ હજુ પણ પૂર્ણ થયું નથી. GST અંડરપાસ તૈયાર કરવા માટે 2 કોન્ટ્રક્ટરો બદલાઈ ચૂક્યા છે. તેમ છતાં આ કામ હજુ પૂર્ણ થયું નથી. બાળકોને સ્કૂલ જવા અને મહિલાઓને શાકભાજી લેવા જવા માટે આ ઉપરાંત તમામ સુવિધાઓ, જેવી કે દવાખાનાં, સ્કૂલ, મંદિર, પાર્ક બધે જ જવા માટે આ અંડરબ્રિજ બને એ જરૂરી છે, પરંતુ અંડરબ્રિજનું કામ પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહ્યું.
લોકો રેલવેટ્રેક ક્રોસ કરવા મજબૂર
છેલ્લા 6 વર્ષથી અંડરપાસ બંધ હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ઓવરબ્રિજ ઊંચો હોવાના કારણે બાળકોને ચડવામાં પણ વધારે સમય જાય છે, એને કારણે ચાલતા જતા લોકો અને બાળકો GST પાસેથી રેલવેના પાટા ક્રોસ કરવા મજબૂર બને છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 3 મહિના પહેલાં જ રેલવે ટ્રેક ક્રોસ કરતા સમયે વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. થોડા સમય પહેલાં આ જ રીતે સ્કૂલે જવા માટે GST પાસે રેલવેના પાટા ક્રોસ કરતાં બે બાળકોના મોત થયાં છે.
સળગતા સવાલ
- અમદાવાદ મહાનગરપાલિકા ક્યાં સુધી દાખવશે બેદરકારી?
- રાણીપની જનતાને ક્યારે મળશે અંડરપાસ?
- 6 વર્ષથી ચાલી રહેલું કાર્ય ક્યારે થશે પૂર્ણ?
- વારંવાર કોન્ટ્રાક્ટર બદલવાનો કેમ આવ્યો વારો?
- જનતાના ટેક્સના રૂપિયા શા માટે વેડફાઈ રહ્યા છે?
- કોન્ટ્રાક્ટરો પ્રત્યે મહાનગરપાલિકાનું નરમ વલણ કેમ?