ગોડાઉન ઉપર કોઈ કર્મચારી કે સુરક્ષાકર્મી હાજર ન હતા
બોટાદ જિલ્લાના રાણપૂર ખાતે આવેલ સરકારી ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી. જોત-જોતાંમાં આગે વિકરાળ રુપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટાના દ્રશ્યો સર્જાયા હતા. મોટાભાગનો અનાજનો જથ્થો આગમાં હોમાઈ ગયો હોવાનો આંદાજ લગાવવામાં આવી રહ્યો છે . બીજી તરફ આગની ઘટનામાં તંત્રની ગંભીર બેદરકારી પણ સામે આવી હતી.
અધિકારીઓની બેદરકારી છતી થઈ
રાણપુરમાં પુરવઠા વિભાગના ગોડાઉનમાં આજે કોઇ અકળ કારણસર આગ લાગી હતી. આ આગની ઘટનામાં સબંધિત વિભાગના અધિકારીઓની લલિયાવાડી સામે આવી છે. ભીષણ આગે ગોડાઉનને બાનમાં લીધા બાદ બે કલાક જેટલા લાંબા સમયગાળા પછી અધિકારીઓને ઘટનાની જાણ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહી કઠણાઇ તો એ વાતની છે કે જવાબદાર અધિકારીઓ પાસે ગોડાઉનની ચાવી પણ હાજરમાં ન હોવાની પણ ગંભીર ક્ષતિ સામે આવી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
અનાજનો મોટો જથ્થો આગમાં શ્વાહા થયો હોવાનો અંદાજ
વધુમાં પુરવઠા વિભાગના ગોડાઉનની સુરક્ષા બાબતે પણ ગંભીર છીંડા સામે આવ્યા છે. કારણ કે આગજની વેળાએ ગોડાઉન ઉપર કોઈ કર્મચારી કે સુરક્ષાકર્મી હાજર ન હતા. આગ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર સ્ટાફ તત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં ફાયર સ્ટાફે અવિરત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધાર્યા હતા. જોકે આગ કાબુમાં આવે તે પહેલા ગોડાઉનમાં સંગ્રહાયે અનાજનો મોટો જથ્થો આગમાં શ્વાહા થયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જેથી મોટા પાયે નુકસાન અંગેની શક્યતાઓ છે. જોકે હજુ સુધી નુકસાની અંગે કોઇ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. આ ઘટનાને પગલે સબંધિત અધિકારીઓએ દોડી જઈ આગ લાગવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.