અરવલ્લી જિલ્લાના ભુતાવડ ગામના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કરતા મામલો ગરમાયો છે. યુવકે અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે.
દીકરીના પિતા યુવકને માર મારી દીકરીનું અપહરણ કરી લઈ ગયા
યુવકે પત્નીના અપહરણ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભુતાવડ ગામના યુવક-યુવતીના પ્રેમ લગ્નનો મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભુતાવડ ગામના યુવક-યુવતી પ્રેમ લગ્ન કરી અમદાવાદ રહેતા હતા. હવે યુવકે પોતાની પત્નીનું અમદાવાદથી અપહરણ કરાયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. દીકરીના પિતા યુવકને માર મારી દીકરીનું અપહરણ કરી લઈ ગયા હોવાની ફરિયાદ યુવકે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
યુવકે સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
યુવકે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, 'અમે નોબલનગરમાં અમારા સંબંધીના ઘરે મળવા માટે ગયા હતા. આ દરમિયાન મારી પત્નીના પિતા સહિત ચાર લોકો ત્યાં આવ્યા અને મને માર મારી બળજબરીથી મારી પત્નીને કારમાં પોતાની સાથે લઈ ગયા હતા.' અપહરણની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
પ્રેમ લગ્ન કરતાં ગામમાં ડખો
મહત્વનું છે કે, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભુતાવડ ગામે થોડા સમય અગાઉ એક સમાજના યુવકે અન્ય સમાજની યુવતી સાથે રાજીખુશીથી કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદ આખા ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બંને સમાજના આગેવાનો દ્વારા યુવક અને યુવતીને છૂટાછેડા લેવા માટે સમજાવવામાં આવ્યા હતા. અનેક પ્રયાસ બાદ પણ યુવક-યુવતી અલગ ન થતાં ગ્રામજનો દ્વારા એક સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ ગામમાં આવેલા આ સમાજના 17 જેટલા પરિવારોનો બહિષ્કાર કરી નાખ્યો હતો અને પાણી, લાઈટ તથા દૂધ જેવી વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. સાથે જ તેમને ગામ બહાર કરાયા હતા. જે બાદ આ મામલો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો. ગ્રામજોનોના તાલીબાની નિર્ણયની સામે 17 જેટલા પરિવારના લોકોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને મળીને આવેદન પાઠવી ન્યાયની માગણી કરી હતી.
પોલીસે કરાવ્યું હતું સમાધાન
જે બાદ મોડાસા એલસીબી અને ભિલોડા પોલીસ ભુતાવડ ગામે પહોંચી હતી અને પોલીસ દ્વારા ગામના દરેક સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. 17 પરિવારો દ્વારા કરવામાં આવેલ સ્થળાંતર મામલે પોલીસ દ્વારા ગામના આગેવાનો સાથે બેઠક કરી સમાધાન કરાવવામં આવ્યું હતું.