અરવલ્લીના માલપુરના કોયલીયા ગામે રહેતા 116 વર્ષના વૃદ્ધનું મોત થતા DJ સાથે વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
કોયલીયા ગામે રહેતા 116 વર્ષના વૃદ્ધનું મોત
DJ સાથે વાજતે ગાજતે કાઢવામાં આવી અંતિમયાત્રા
અંતિમ યાત્રામાં તમામની આંખોમાં આંસુ આવી ગયા
અત્યારના સમયમાં માણસને 60 વર્ષ થાય એટલે જાણે જિંદગી પુરી થઈ ગઈ હોય એવી હાલતમાં માણસો નજરે પડતાં હોય છે. સાથે જ અનેક બીમારીઓ પણ ઘર કરી જતી હોય છે. ત્યારે કેટલાક એવા પણ છે કે જેઓ સદી વટાવી ગયા હોય છતાં ખૂબ તંદુરસ્ત રીતે પોતાનું જીવન વિતાવતા હોય છે. ત્યારે અરવલ્લીના માલપુરના મીની કાશ્મીર કહેવાતા ડુંગર પ્રદેશ કોયલીયા ખાતે રહેતા સોમાભાઈ સદી વટાવીને પણ પોતાનું સુખી જીવન જીવતા હતા.
પરિવારે વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવાનું કર્યું નક્કી
છેલ્લા બે માસથી બીમાર એવા સોમાભાઈ ખાંટ 115 વર્ષની ઉંમર સુધી ચણા ચાવીને ખાતા હતા, તેઓએ છપ્પનીયો દુષ્કાળ પણ નજરે જોયો હતો. અંગ્રેજોની ગુલામીનો પણ અનુભવ કરેલો એવા સોમાભાઈ ખાંટ જીવનની અંતિમ ઘડી વિતાવી પ્રભુને શરણ થયા, ત્યારે તેમના પરિવારજનોએ તેમની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢવાનું નક્કી કર્યું હતું.
તમામની આંખોમાં આવી ગયા આંસુ
તે મુજબ તેમની અંતિમ યાત્રા ડીજેના તાલે વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. તેમની અંતિમ યાત્રામાં તમામની આંખોમાં આંસુ આવી ગયા હતા. આટલું લાબું અને તંદુરસ્ત જીવન જીવી અને અન્યને જીવતા શીખવાડી વિદાય લેતા સોમાભાઈ ખાંટની વિદાય સૌ ગ્રામજનો માટે કાયમી યાદ રહેશે.